શું પ્રવીણ તોગડીયાએ કર્યું હતું ગુમ થવાનું નાટક?
છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં પ્રવીણ તોગડીયાનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. સોમવારે પ્રવીણ તોગડીયા રહસ્યમયી રીતે ગુમ થયા બાદ રાત્રે અસ્વસ્થ હાલતમાં મળી આવ્યા હતા
છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં પ્રવીણ તોગડીયાનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. સોમવારે પ્રવીણ તોગડીયા રહસ્યમયી રીતે ગુમ થયા બાદ રાત્રે અસ્વસ્થ હાલતમાં મળી આવ્યા હતા અને ત્યાર બાદ મંગળવારે બપોરે તેમણે પત્રકાર પરિષદ કરી ચોંકાવનારી માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેમને ખબર મળ્યા હતા કે તેમના એનકાઉન્ટરની યોજના બની રહી છે. આથી તેઓ કાર્યાલય છોડી પહેલા થલતેજ એક વ્યક્તિને ત્યાં ગયા હતા અને ત્યાંથી બપોરે લગભગ 3 વાગે રિક્ષા લઇ એરપોર્ટ જવા નીકળ્યા હતા. તેઓ એરપોર્ટથી ફ્લાઇટ લઇ જયપુર જવાના હતા અને જયપુરમાં કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાના હતા. પરંતુ રસ્તામાં જ તેમની તબિયત બગડી હતી અને એ પછી તેમને સીધું હોસ્પિટલમાં ભાન આવ્યું હતું.
ક્રાઇમ બ્રાંચે કરી તપાસ
જો કે, આ મામલે તપાસ કર્યા બાદ ક્રાઇમ બ્રાંચે જણાવ્યું હતું કે, પ્રવીણ તોગડીયાએ ગુમ થયા હોવાનું માત્ર નાટક કર્યું હતું. ક્રાઇમ બ્રાંચનો દાવો છે કે, તેમની પાસે આ વાત સાબિત કરતા સીસીટીવી ફૂટેજ છે. તેઓ થલતેજમાં કાર્યકર્તા ઘનશ્યામના ઘરે રોકાયા હતા તથા 108માં પણ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હતા. આને લગતા પુરાવા પણ ક્રાઇમ બ્રાંચ પાસે છે.
પ્રવીણ તોગડીયાએ શું કહ્યું?
પત્રકાર પરિષદમાં પ્રવીણ તોગડીયાએ કહ્યું હતું કે, એનકાઉન્ટરની યોજનાની તેમને જાણ હોવાથી તેઓ પોલીસથી અંતર જાળવી કોર્ટ પહોંચવા માંગતા હતા, તેમને દેશની ન્યાયપ્રણાલી પર પૂર્ણ વિશ્વાસ છે તથા હવે પણ તબીબોની પરવાનગી મળતા જ તેઓ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરશે. મારી સામે ખોટા કેસ ઊભા કરવામાં આવી રહ્યા છે, એવા કેસ જે અંગે મને કોઇ જ જાણકારી નથી. છેલ્લા ઘણા સમયથી મારો અવાજ દબાવવાનો દરેક સંભવ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને હવે એ જ શ્રેણીમાં મારી સામે કેસ ઊભા કરવામાં આવ્યા છે.
VHPના
કાર્યકર્તાનો
વીડિયો
વાયરલ
તો બીજી બાજુ વિશ્વ હિંદુ પરિષદના જે કાર્યકર્તાને ત્યાં પ્રવીણ તોગડીયા સોમવારે ગયા હતા, તેમનો પણ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કાર્યકર્તા ઘનશ્યામ ચરણદાસ કહી રહ્યાં છે કે, 'માંડ તક મળી હતી સરકાર સામે વાતાવરણ બનાવવાની, મેં પ્રવીણભાઇને કહ્યું હતું કે, આ બધુ છોડીને નીકળી જઇએ.'