Ahmedabad: મહિલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું, 5 દિવસ પછી બોયફ્રેન્ડે પણ આપ્યો જીવ
Ahmedabad: પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલી 29 વર્ષીય મહિલા કોન્સ્ટેબલે અમદાવાદમાં પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેના પાંચ દિવસ પછી, તેના 47 વર્ષીય પ્રેમીએ પણ એલિસબ્રિજ વિસ્તારમાં એક હોટલના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, તેના પ્રેમી પર મહિલા કોન્સ્ટેબલને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતક પોલીસકર્મી લલિતા પરમારનો બોયફ્રેન્ડ જશુ રાઠોડ મંગળવારે હોટલ સરગમમાં તેના રૂમમાં લટકતો મળી આવ્યો હતો. સુરેન્દ્રનગરના સોલડી ગામનો રહેવાસી જશું રાઠોડ 3 માર્ચના રોજ હોટલમાં ગયો હતો.
ઘટનાની વિગતો આપતા એલિસબ્રિજ પોલીસ ઇન્સ્પેક્ટર આર. આર. ગઢવીએ જણાવ્યું હતું કે, 4 માર્ચની બપોરે હોટલના કર્મચારીએ જશુ રાઠોડના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. હોટલના સ્ટાફે વિચાર્યું કે, રાઠોડ બહાર ગયો છે. જ્યારે તેણે મંગળવારે બપોરે ફરીથી દરવાજો ખટખટાવ્યો અને કોઈએ ન ખોલ્યો, ત્યારે તેણે કંઈક ખોટું થયું હોવાની શંકા થઈ હતી, જે બાદ તેણે તેના સાથીદારને જાણ કરી હતી.
ત્યારબાદ તેઓએ ડુપ્લીકેટ ચાવી વડે દરવાજો ખોલતા જશુ રાઠોડ સીલીંગ ફેન સાથે લટકતો જોવા મળ્યો હતો.
નોંધનીય બાબત છે કે, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. 29 ફેબ્રુઆરીના રોજ, લલિતા પરમારનો મૃતદેહ તેના પાડોશી દ્વારા લટકતો મળી આવ્યો હતો, જેઓ વાસણા પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. લલિતા પરમાર એક મહિના પહેલા શહેર પોલીસમાં જોડાયા હતા. કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, જશુ રાઠોડ લલિતા પરમારને સતત હેરાન કરતો હતો અને નોકરી છોડવા માટે દબાણ કરતો હતો.
લલિતા પરમારે આમ કરવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે, તેણી તેના પરિવારની એકમાત્ર કમાણી કરનારી વ્યક્તિ હતી. જશુ રાઠોડ તેના પર નજર રાખવા માટે અવારનવાર વીડિયો કોલ કરતો હતો. લલિતા પરમાર અને જશુ રાઠોડ એક જ ગામના છે, અને 10 વર્ષથી રિલેશનશિપમાં હતા. સોમવારે વાસણા પોલીસે જશુ રાઠોડ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાની ફરિયાદ નોંધી હતી અને તેને આ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તપાસકર્તાઓને શંકા છે કે, તેણે કાયદાના ડરથી આત્મહત્યા કરી હશે.












Click it and Unblock the Notifications
