અલ કાયદા ભારતમાં નવો મોરચો ખોલી ગુજરાતને જિહાદનું નિશાન બનાવશે : અલ જવાહિરી
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર : ભારતમાં કેટલાક મુસ્લિમો દ્વારા ચલાવવામાં આવેલા 'લવ જિહાદ' બાદ હવે મુસ્લિમ આતંકવાદી સંગઠન અલ કાયદાના વડા અલ જવાહિરીએ 55 મીનિટનો એક વીડિયો જાહેર કરીને તેમાં જણાવ્યું છે કે આગામી સમયમાં તેઓ દક્ષિણ એશિયામાં નવી શાખા ખોલીને જિહાદને વધારે ઉગ્ર બનાવશે. ભારતમાં જે રાજ્યોને જિહાદના નિશાન બનાવવામાં આવશે તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.
અલકાયદાના વડા અલ જવાહિરીએ વીડિયોમાં જાહેરાત કરી છે કે અલ કાયદા હવે ભારતમાં ઘુસણખોરી કરશે. એક સમયે લાદેનનો ડાબો હાથ માનવામાં આવતા જવાહિરીએ વીડિયો રીલિઝ જણાવ્યું છે કે અલ કાયદા ભારતમાં તેમનું રાજ પાછું ઈચ્છે છે કારણ કે એક સમયે તે મુસ્લીમ સામ્રાજયનો હિસ્સો હતો.
આ વીડિયોમાં ભારતના ત્રણ રાજ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વીડિયોમાં અલકાયદાએ ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં ઘુસણખોરીની વાતનો ઉલ્લેખ કર્યો છે. આ વીડિયોમાં તેમણે ભારતમાં ગુજરાત અને તેમાં પણ અમદાવાદમાં આતંક ફેલાવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. તેઓ ભારતમાં કાશ્મીર, અમદાવાદ અને આસામમાં આતંકી ગતિવિધીઓ વધારવાની વાત કરી રહ્યા છે.
કાયેદત અલ જિહાદ નામથી ઉર્દૂ ભાષામાં બ્રોડકાસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જણાવાયું છે કે આ સંગઠન બનાવવા માટે બે વર્ષથી મહેનત કરવામાં આવી રહી છે.