નારણપુરા બેઠક પરથી અમિત શાહનો ઉત્તરાધિકારી કોણ?
ભાજપ અધ્યક્ષ અમિત શાહના ચૂંટણી ક્ષેત્રની અમદાવાદની નારણપુરા બેઠક આ વખતે ખાલી છે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાના પત્ની જાગૃતિ પંડ્યા આ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. આ અંગે વધુ વાંચો અહીં.
ભાજપ અધ્યક્ષ અમિત શાહના ચૂંટણી ક્ષેત્રની અમદાવાદની નારણપુરા બેઠક આ વખતે ખાલી છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નારણપુરાથી ધારાસભ્ય રહી ચૂક્યાં છે, પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં ચૂંટાયા બાદ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. એ પછીથી કોંગ્રેસની નજર પણ આ બેઠક પર છે. સૌને આ જાણવાની ઉત્સુકતા છે કે, આ બેઠક પરથી અમિત શાહનો ઉત્તરાધિકારી કોણ હશે? આ સિવાય અન્ય એક વિધાનસભા બેઠક પર પણ સૌની નજર છે. એ બેઠક છે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ઘાટલોડિયાની બેઠક. આનંદીબહેન મોટાભાગે આ જ બેઠક પરથી ચૂંટણી લડે છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર, નારણપુરા બેઠક પરથી ચૂંટણી લડવા માટે જે નેતાનું નામ સૌથી વધુ ચર્ચામાં છે, એ છે જાગૃતિ પંડ્યા. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાના પત્ની જાગૃતિ પંડ્યાને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે બાળ અધિકાર આયોગના અધ્યક્ષ નીમ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અમિત શાહના કટ્ટર વિરોધ કહેવાતા હરેન પંડ્યાની 26 માર્ચ, 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હરેનના પિતા વિઠ્ઠલભાઇ પંડ્યાએ પોતાના પુત્રની હત્યા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહને દોષી ગણાવ્યા હતા. અનેક વર્ષો સુધી આ મામલે ચુપ્પી સાધ્યા બાદ હરેનના પત્ની જાગૃતિ પંડ્યાએ 2007-08માં પોતાના સસરાની માફક જ નરેન્દ્ર મોદી અને અમિત શાહને જ પોતાના પતિની હત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા. હાલમાં જ અમદાવાદમાં યોજાયેલ રન ફોર યુનિટિ કેમ્પેનમાં જાગૃતિ પંડ્યા જોડાયા હતા અને તેમણે પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવી હતી. બીજી તરફ, આ વખતે આનંદીબહેન પટેલે પણ ચૂંટણી લડવાની ના પાડી છે. તેમણે પક્ષના અધ્યક્ષને પત્ર લખી ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. આથી હવે તેમની ઘાટલોડિયા બેઠક પરથી પણ ભાજપ પરથી કોને ઉમેદવાર બનાવવામાં આવે એ જોવાનું રહે છે. ચૂંટણી માટે ઉમેદવારીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ભાજપની ઉમેદવારોની સૂચિ અંગે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બુધવારે મળી હતી, ત્યાર બાદ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની બેઠક પણ મળી હતી. જો કે, હજુ સુધી ક્પક્ષ તરફથી ઉમેદવારોની સૂચિ જાહેર કરવામાં આવી નથી.