અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો નહિ યોજાય, માતાના દર્શન કરવા ભક્તો માટે મંદિર રહેશે ખુલ્લુ
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આ વર્ષે પણ કોરોના મહામારીના કારણે ભાદરવી પૂનમનો મેળો મુલતવી રાખવામાં આવ્યો છે.
બનાસકાંઠાઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આ વર્ષે પણ કોરોના મહામારીના કારણે ભાદરવી પૂનમનો મેળો મુલતવી રાખવામાં આવ્યો છે પરંતુ મા અંબાના દર્શન કરવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વળી, જે લોકો બાધા-આખડીમાં માનતા હોય તેવા લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. ભક્તો મા અંબાના દર્શન કરી શકે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ભાદરવી પૂનમના મેળા વખતે અંબાજીમામં લાખો ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટતા હોય છે પરંતુ આ વખતનો મેળો બંધ રાખવામાં આવ્યો હોવાથી પદયાત્રીઓ માટે કેમ્પ ખોલવામાં આવ્યા નથી. અંબાજીમાં યાત્રિકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ હોવાથી તેરસથી પૂનમ દરમિયાન યાત્રિકોનો પ્રવાહ વધવાની સંભાવનાને લઈને સુરક્ષા વિભાગ દ્વારા પાંચ હજાર જેટલા સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
ભાદરવી પૂનમે મંદિર સુરક્ષાને લઈને સુરક્ષા વિભાગ દ્વારા મંદિર સહિત મંદિર પરિસર અને નજીકના પોઈન્ટ ઉપર ડૉગ સ્કવૉડ સહિત બૉમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ દ્વારા દરેક જગ્યાનુ બારીકાઈથી નિરીક્ષણ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત એસપી 1, એએસપી 2, ડીવાયએસપી, 9, પીઆઈ 9, પીએસઆઈ 94, પોલિસ કૉન્સ્ટેબલ 1705, ટ્રાફિક પોલિસ 82, મહિલા કૉન્સ્ટેબલ 82, એસઆરપીની 4 કંપની, 2500 હોમગાર્ડ અને 500 જીઆરડી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ વર્ષે મેળો બંધ હોવા છતાં લોકો માતાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. પૂનમ સુધી ભક્તોની સંખ્યા વધે તેવી સંભાવના છે.
અંબાજી મંદિરમાં મેળો યોજાવાનો નથી પરંતુ ભક્તો માટે મંદિર ખુલ્લુ હોવાથી મેડિકલની 7 ટીમે તૈનાત કરાઈ છે. અંબાજી મંદિર પરિસર અને શહેરમાં 157 જેટલા સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે. પ્રસાદ માટે 3 કાઉન્ટર શરુ કરવામાં આવ્યા છે. કોરોનામાં લોકો ઘરે બેઠા દર્શન કરી શકે તે માટે ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરને આકર્ષક રોશનીથી સજાવવામાં આવ્યુ છે. વળી, પદયાત્રીઓ માટે ઈમરજન્સી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય કરવામાં આવી હોવાનુ સૂત્રોએ જણાવ્યુ હતુ. બનાસકાંઠા પોલિસ પણ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભક્તો સુરક્ષિત રહે તે માટે તૈનાત છે.