રાહુલ અહીં મંદિરમાં ફરે, કોંગ્રેસ ત્યાં રામમંદિરનો કેસ રોકે : અમિત શાહ
રાહુલ ગાંધી મંદિરમાં ફરે છે અને રામમંદિરનો કેસ રોકવા માટે કોંગ્રેસ ચાલ ચાલી રહી છે. અમિત શાહ આવો આરોપ આજે રાહુલ ગાંધી પર કર્યો હતો. જાણો આ અંગે વધુ અહીં.
એક તરફ જ્યાં અયોધ્યા કેસ પર હાલ સુનવણી ચાલી રહી છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે આ મામલના ભાજપ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા કેસમાં વકીલ કપિલ સિબ્બલે 2019ની લોકસભાની ચૂંટણી પછી આ મામલે કોર્ટનો ચુકાદો બહાર પાડવાની વાત કરી છે. ત્યારે અમિત શાહે આ મામલે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફર્ન્સ કરીને કપિલ સિબ્બલ સમેત રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આરોપ લગાવ્યા છે. અમિત શાહે કહ્યું કે એક તરફ રાહુલ ગાંધી ગુજરાતમાં મંદિરમાં ફરે છે અને બીજી તરફ રામ મંદિરનો કેસ રોકવા કોંગ્રેસ ચાલ ચાલી રહી છે. આ મામલે અમિત શાહે કોંગ્રેસે પોતાની પક્ષ સ્પષ્ટ કરવાની વાત પણ કરી હતી.
અમિત શાહે આ પ્રેસ કોન્ફર્ન્સમાં કહ્યું કે "દેશની સર્વોચ્ચ અદાલતમાં આજે રામજન્મ ભૂમિની સુનવણી શરૂ થઇ છે. તમામ લોકો ઇચ્છે છે કે સુનવણી જલ્દી સમાપ્ત કરવામાં આવે. અને જલ્દીથી આ મામલે નિર્ણય આવે. પણ આ વચ્ચે સર્વોચ્ચ અદાલતની સામે કોંગ્રેસના નેતા અને આ કેસના વકીલે તેવા કપિલ સિબ્બલે કહ્યું કે જુલાઇ 2019 સુધી આ કેસની સુનવણી ના થવી જોઇએ. જ્યારે પણ કોંગ્રેસ એક અલગ પ્રકારનો સ્ટેન્ડ લેવા માગે છે તો કે કપિલ સિબ્બલને આગળ લાવે છે. 2જી સ્કેમથી લઇને ગુજરાતમાં પાટીદારોને 50 ટકાથી વધુ અનામત મામલે કે પછી રામ મંદિર સુનવણી પાછી લેવા મામલે પણ કપિલ સિબ્બલ જ સામે આવ્યા છે.
તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની માંગ છે કે કોંગ્રેસ તેનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે. શું કોંગ્રેસ પણ ઇચ્છે છે કે 2019 સુધી આ કેસની સુનવણી ના થાય? વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ થનારા અધ્યક્ષ, રાહુલ ગાંધી અહીં મંદિર મંદિર ફરી પોતાની શ્રદ્ધા બતાવી રહ્યા છે. અને બીજી તરફ રામ મંદિરને બનતું રોકવા કપિલ સિબ્બલનો ઉપયોગ કરવામાં આવે છે. ભાજપની માંગ છે કે આ કેસની જલ્દી જ સુનવણી થાય. ત્યારે આ મામલે કોંગ્રેસ પોતાનો મત સ્પષ્ટ કરે તેમ અમિત શાહે જણાવ્યું હતું.