બાપુ અને શાહની મુલાકાત, ખાલી મુલાકાત કે કંઇક વિશેષ?
અમિત શાહે કરી કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત. જાણો શું થયું આ મુલાકાતમાં વિગતવાર અહીં.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સાથે તેમની ચેમ્બરમાં આજે મુલાકાત કરી હતી આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ તેમની સાથે હતા. નોંધનીય છે કે ધારાસભ્ય તરીકે બુધવારે અમિત શાહે ગુજરાત વિધાનસભામાં હાજરી આપી હતી. જે બાદ તે શંકરસિંહ વાઘેલાને મળ્યા હતા. અને આ બેઠક વિધાનસભામાં વિપક્ષ નેતાની ચેમ્બરમાં થઇ હતી. જો કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ મુલાકાતને એક અનઔપચારિક મુલાકાત કહેવામાં આવી છે.
લગભગ 15 મિનિટ ચાલેલી આ મુલાકાતમાં બન્ને જણા વચ્ચે હળવી વાતચીત થઇ હતી. નોંધનીય છે કે આ બેઠક પછી શંકરસિંહે મીડિયાને જણાવ્યું હતું કે આ બેઠકનો કોઇએ રાજકીય ક્યાસ ન કાઢવો જોઇએ. આ એક સૌજન્યપૂર્વક મુલાકાત હતી. વળી તેમણે એ પણ સ્પષ્ટતા આપી કે આ બેઠકમાં ચૂંટણી અંગે કોઇ વાતચીત નથી થઇ. વધુમાં વિજય રૂપાણીએ પણ આ બેઠક પછી જણાવ્યું કે તે શંકરસિંહ વાઘેલા અને વિપક્ષના તમામ નેતાઓનો આ બેઠક માટે આભાર માને છે. તો બીજી તરફ જીતી વાઘાણીએ પણ કહ્યું કે જ્યારે પણ આ રીતની બેઠકો થાય છે ત્યારે તેમાં રાજ્યના વિકાસની ચર્ચાઓ થતી રહે છે.