Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમિત શાહે બિપરજોય વાવાઝોડાને લઈને વિડીયો કોન્ફરન્સથી વ્યવસ્થાની સમિક્ષા બેઠક યોજી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિપોરજોય વાવાઝોડાને લઈને સરકાર અને વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી.

Biporjoy cyclone

આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ પુરુષોત્તમ રૂપાલા સહિતના મંત્રીઓ સહિત સચિવો અને જિલ્લા મેજીસ્ટ્રેટ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા બેઠકમાં જોડાયા હતા. કેન્દ્રીય ગૃહ સચિવ, હવામાન વિભાગના મહાનિર્દેશક, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના સભ્ય સચિવ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.

બેઠકમાં અમિત શાહે કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય ચક્રવાતી તોફાન બિપોરજોય દ્વારા થતા સંભવિત નુકસાનને ઘટાડવાનો અને ઝિરો કેઝ્યુઆલીટી એટલે કે એક પણ જાનહાની ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

અમિત શાહે કહ્યું કે, કેન્દ્રએ રાહત અને બચાવ કામગીરી માટે પૂરતી સંખ્યામાં NDRF ટીમો તૈનાત કરી છે. આ ઉપરાંત, આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડના ટુકડીઓને જરૂરિયાત મુજબ સહાય પૂરી પાડવા માટે તૈનાત કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારનો કંટ્રોલ રૂમ ચોવીસ કલાક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને ભારત સરકારની તમામ એજન્સીઓ કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે. શ્રી શાહે ગુજરાત સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

ગૃહમંત્રીશ્રીએ સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સલામત સ્થળે લઈ જવાની વ્યવસ્થા કરવા, વીજળી, ટેલિકોમ્યુનિકેશન, આરોગ્ય, પીવાનું પાણી વગેરે જેવી તમામ જરૂરી સેવાઓ સુનિશ્ચિત કરવાનું સૂચન કર્યું હતું.

તેમણે કહ્યું કે, કોઈ પણ નુકસાનના કિસ્સામાં આ સેવાઓ તરત જ પુનઃસ્થાપિત કરી શકાય તેવી તૈયારીઓ કરવી તેમજ તમામ હોસ્પિટલોમાં મોબાઈલ અને લેન્ડલાઈન કનેક્ટિવિટી અને વીજળીની વૈકલ્પિક વ્યવસ્થા કરવી.

ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે વાવાઝોડાને કારણે 8-10 ઇંચ વરસાદ થવાની ધારણા છે, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તેનો સામનો કરવા માટે જરૂરી તૈયારીઓની સમીક્ષા કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.

આ સિવાય અમિત શાહે સોમનાથ અને દ્વારકા મંદિરોની આસપાસ જરૂરી તમામ તૈયારીઓ કરવા પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાનની સૂચના મુજબ ગીરના જંગલમાં પ્રાણીઓ અને વૃક્ષોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી જોઈએ.

અમિત શાહે ગુજરાતના સાંસદો અને ધારાસભ્યોને આ ચક્રવાતના ખતરાથી વાકેફ કરીને પોતપોતાના વિસ્તારના લોકોને દરેક શક્ય રીતે મદદ કરવા અને તમામ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં બિપરજોય વાવાઝોડાની સામે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રોની સજ્જતા અને પૂર્વ તૈયારીઓનો સમગ્ર ચિતાર સૌને આપ્યો હતો.

મુખ્યમંત્રીએ બેઠકમાં કહ્યું કે, ચક્રવાતથી પ્રભાવિત ૮ જિલ્લા છે જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં કુલ રપ તાલુકા છે જેમાં ૦ થી ૫ કી.મી માં ર૬૦ ગામોનો સમાવેશ થાય છે જેની કુલ જન સંખ્યા ૧૪,૬૦,૩૦૦ છે. ૫ થી ૧૦ કિ.મી. વિસ્તારમાં ૧૮ર ગામોનો સમાવેશ થાય છે જેની કુલ વસ્તી અંદાજે ૪ લાખ પ૦ હજાર છે.

તેમણે જણાવ્યું કે, વાવાઝોડાથી અસરગ્રસ્ત ૪૩૪ નીચાણવાળા વિસ્તારોને પણ ઓળખવામાં આવ્યા છે. આ રપ તાલુકાઓમાં ૧પર૧ આશ્રય સ્થાનોની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. ૮ જિલ્લાઓમાં ૪૫૦ હોસ્પિટલોની ઓળખ કરવામાં આવી છે, આ હોસ્પિટલોમાં દવા, ઉપકરણો, મેડિકલ સ્ટાફ અને ડી.જી સેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, આ જિલ્લાઓમાં મીઠું પકવતા ૮૬૮ અગરિયાઓ તેમજ ૬,૦૮૦ કામદારોની ઓળખ કરવામાં આવી છે. ૨૮૪ ગર્ભવતી મહિલાઓને સલામત સ્થળે લઇ જવામાં આવી છે. ૫,૩૩૦ અગરિયાઓ, વૃદ્ધ અને બાળકો મળી સમગ્રતયા ૧૫,૦૬૮ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય ૩૦,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું કામ સાંજ સુધી પૂરું કરી દેવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, આ ૮ જિલ્લાઓમાં NDRFની ૧૮ અને SDRFની ૧૨ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તાર તેમજ રોડ ઉપરથી ૪,૦૫૦ હોર્ડિંગ્સને દૂર કરવામાં આવ્યા છે. માછીમારોની કુલ ૨૧,૫૯૫ બોટને ફિશિંગ હાર્બર ખાતે પાર્ક કરવામાં આવી છે. પોર્ટ પાસે ૨૭ જહાજોને લાંગરવામાં આવ્યા છે તેમજ ૨૪ મોટા જહાજોને એન્કર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય એજન્સીઓ NDRF, નેવી, આર્મી, કોસ્ટગાર્ડ, એરફોર્સની સાથે સંપર્ક અને સંકલન બનાવી રાખવામાં આવ્યું છે.

આગળ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વીજળીના થાંભલાઓ પડી જવાની સ્થિતિમાં રીપેરીંગ કરી આપવા માટે ઉર્જા વિભાગ દ્વારા સંપૂર્ણ સાધન સામગ્રી સાથેની ટીમ તૈયાર કરવામાં આવી છે. વાવાઝોડા સમયે રસ્તાઓના રીપેરીંગ માટેના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જમીનદોસ્ત થયેલા વૃક્ષોને હટાવવા માટે વન વિભાગની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

બેઠકમાં હવામાન વિભાગના મહાનિર્દેશકેપૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ગંભીર ચક્રવાતી તોફાન બિપોરજોયની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, વાવાઝોડું 14મીની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધે, પછી ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધીને, સૌરાષ્ટ્ર અને કચ્છને વટાવીને 15મી જૂનની બપોર સુધીમાં જખૌ બંદર નજીક માંડવી અને કરાચી પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. ગંભીર ચક્રવાત વાવાઝોડું 150 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ઝડપે 125-135 કિમી પ્રતિ કલાકની સતત પવનની ઝડપે પહોંચે તેવી શક્યતા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X