અમદાવાદમાં ખૂશ્બુ ગુજરાત કીનું શૂટિંગ કરતા અમિતાભ
ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અને બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને રવિવારથી ‘ખૂશ્બુ ગુજરાત કી'ની ત્રીજા તબક્કાની શૂટિંગ શરૂ કરી છે. જે દરમિયાન તેમણે સરખેજ રોજા, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, ઝુમા મસ્જિદ સહિતના સ્થળો પર શૂટિંગ કર્યું હતું. દૂધસાગર ડેરીમાં ઉચાપાતના મામલામાં એલસીબી દ્વારા ગાંધીનગર ખાતેથી ડેરીના એમડી નિશિત બક્ષીની ધરપકડ કરવામાં આવી છે. આગામી માર્ચ મહિનાથી એર ઇન્ડિયા દ્વારા રાજકોટ અને દિલ્હી વચ્ચે દૈનિક વિમાની સેવાનો પ્રારંભ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.
દા.ન. હવેલી ખાતે વિદ્યાર્થીઓને ચક્કાજામ
દાદરાનાગર હવેલીમાં ભીલવાસા પાસે ઉડાન યોજના હેઠળ વિદ્યાર્થીઓને જે લેપટોપ મળવાના હતા, તે લેપટોપ વિતરણ કાર્યક્રમ રદ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો તથા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
અમદાવાદઃ AMCમાં હડતાળનો આખરે અંત
અમદાવાદ મહાનગરપાલિકામાં સફાઇ કામદરોની ચાલી રહેલી હડતાળનો આખરે અંત આવ્યો છે. મનપા દ્વારા વીસ વર્ષ કરતા વધુ સમયથી કામ કરી રહેલા 250 જેટલા સફાઇ કામદારોને કાયમી તથા 225 પાર્ટટાઇમ કર્મચારીઓને ફુલ ટાઇમ કરવાનો નિર્ણય કર્યો છે. મનપાના આ નિર્ણયને આવકારીને સફાઇ કામદારો દ્વારા પોતાની હડતાળને આટોપી લેવાઇ છે.
મહેસાણા દૂધ સાગર ડેરીના એમડીની ધરપકડ
દૂધસાગર ડેરીમાં ઉચાપાતના મામલામાં એલસીબી દ્વારા ગાંધીનગર ખાતેથી ડેરીના એમડી નિશિત બક્ષીની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે ડેરીમાં 2.50 કરોડની ઉચાપાતના ગુનામાં મહેસાણા એલસીબી પોલીસે રવિવારે ડેરીના ચીફ જનરલ મેનેજર રશ્મિકાન્ત મોદીની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
તારાપુર પાસે અકસ્માતઃ બેના મોત
તારાપુર વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે બેને ગંભીર ઇજા થતાં વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચલાક ટ્રક ઘટના સ્થળે છોડી ફરાર થઇ ગયો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં BRTS સેવાની શરૂઆત
સુરતમાં 26 જાન્યુઆરીના રોજ ઉધના બીઆરટીએસ પ્રોજેક્ટને ખુલ્લો મુકવામાં આવ્યો છે. શહેરજનોને એક મહિના માટે બીઆરટીએસમાં મફત મુસાફરીનો લાભ મળશે. આ રૂટ પર માત્ર 12 મીનિટમાં જ ઉધના દરવાજાથી ઉન સુધીનું અંતર કપાઇ જશે. બીઆરટીએસના આ રૂટને સાસંદ દર્શનાબેન જરદોષ, સુરત કમિશનર સહિતના લોકોએ લીલી ઝંડી આપી હતી.
અમદાવાદમાં ખૂશ્બુ ગુજરાત કીનું શૂટિંગ કરતા અમિતાભ
ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચને રવિવારથી ‘ખૂશ્બુ ગુજરાત કી'ની ત્રીજા તબક્કાની શૂટિંગ શરૂ કરી છે. જે દરમિયાન તેમણે સરખેજ રોજા, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, ઝુમા મસ્જિદ સહિતના સ્થળો પર શૂટિંગ કર્યું હતું. અમદાવાદ શૂટિંગ કરવા માટે આવેલા મહાનાયક અમિતાભ બચ્ચનની એક ઝલક મેળવવા માટે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
રાજકોટ-દિલ્હી વચ્ચે માર્ચથી શરૂ થશે દૈનિક ફ્લાઇટ
છેલ્લા બે દાયકાથી ચાલી રહેલી રાજકોટ-દિલ્હી વચ્ચેની દૈનિક ફ્લાઇટની માગણીનો આખરે અંત આવ્યો છે. આગામી માર્ચ મહિનાથી એર ઇન્ડિયા દ્વારા રાજકોટ અને દિલ્હી વચ્ચે દૈનિક વિમાની સેવાનો પ્રારંભ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, તેમ રાજકોટના સાંસદ કુંવરજીભાઇ બાવળિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. બાવળિયા દ્વારા છેલ્લા બે વર્ષથી યુપીએ સરકાર સમક્ષ ઉક્ત રજૂઆત કરવામાં આવી રહી હતી.