નવા મંત્રી મંડળની જાહેરાત, પાટીદારો સામે ભાજપ ઘુંટણીયે, મુખ્યમંત્રી સહિત 9 પટેલનો સમાવેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં 23 મંત્રી શપથ લેશે. જેમાં અમદાવાદમાંથી મુખ્યમંત્રી સહિત 3 ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે 2 મહિલા ધારાસભ્યોને પણ મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યાના એક દિવસ બાદ ભાજપના સૂત્રોએ સંકેત આપ્યો છે કે, આગામી બે દિવસમાં મંત્રીમંડળના શપથગ્રહણ થવાની સંભાવના હતી. શનિવારના રોજ વિજય રૂપાણીના અચાનક રાજીનામા બાદ સોમવારના રોજ માત્ર ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, ચર્ચા ચાલી રહી છે અને શપથગ્રહણ બુધવારના રોજ અથવા ગુરુવારે થશે. પ્રક્રિયા મુજબ મંત્રીઓ જ્યારે શપથ લેશે, ત્યારે તેમના નામ જાહેર કરવામાં આવશે. જે બાદ આજે મંત્રી મંડળનું ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ થઇ રહ્યું હોય તેમ જણાઇ રહ્યું છે.
અમદાવાદમાંથી મુખ્યમંત્રી સહિત 3 ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં 23 મંત્રી શપથ લેશે. જેમાં અમદાવાદમાંથી મુખ્યમંત્રી સહિત 3 ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે 2 મહિલા ધારાસભ્યોને પણ મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાંથી 3 મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે મધ્ય ગુજરાતમાંથી 5 મંત્રી, સૌરાષ્ટ્રમાંથી 7 મંત્રી બનાવાયામાં આવ્યા છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાંથી 6 ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજના મંત્રી મંડળમા સૌથી પહેલા ત્રિવેદી અને તે બાદ જીતુ વાઘાણી અને રાઘવજી શપથ લેશે.
નવા મંત્રી મંડળમાં પટેલના 8 ધારાસભ્યો
આ નવા મંત્રી મંડળમાં પટેલના 8, ક્ષત્રિયના 2, OBCના 6, SCના 2, STના 4 અને જૈન સમાજમાંથી 1 મંત્રીનો સમાવેશ થશે. ઉલ્લેખનીય છે કે, પાટીદારોની સંખ્યા રાજ્યમાં લગભગ 12 ટકા છે, તેમ છતા પાટીદાર સમાજમાંથી 8 મંત્રીઓનો સમાવેશ થશે. જ્યારે OBC 27 ટકા અને ST 14 ટકા હોવા છતા ગુજરાત સરકારમાં તેમની સંખ્યા અનુક્રમે 6 અને 4 છે.
મંત્રીમંડળમાં ઉત્તર ગુજરાતમાંથી કોણ હશે?
(1) ઋષીકેશ પટેલ, વિસનગર ( પટેલ )
(2) ગજેન્દ્ર પરમાર, પ્રાતિંજ (OBC )
(3) કિરિટસિંહ વાઘેલા, કાંકરેજ ( ક્ષત્રિય )
મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતમાંથી કોણ હશે?
(1) નરેશ પટેલ, ગણદેવી ( ST )
(2) કનુ દેસાઈ, પારડી ( બ્રાહ્મણ )
(3) જીતુ ચૌધરી, કપરાડા (ST)
(4) હર્ષ સંઘવી, મજુરા ( જૈન )
(5) મુકેશ પટેલ, ઓલપાડ (OBC)
(6) દુષ્યંત પટેલ, ભરૂચ ( પટેલ )
(7) વીનુ મોરડીયા, કતારગામ ( પટેલ)
મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી કોણ હશે?
(1) જે. વી. કાકડીયા, ધારી ( પટેલ )
(2) અરવિંદ રૈયાણી, રાજકોટ ( પટેલ)
(3) રાઘવજી પટેલ, જામનગર( પટેલ )
(4) બ્રિજેર મેરજા, મોરબી ( પટેલ )
(5) દેવા માલમ, કેશોદ ( OBC )
(6) કિરીટસિંહ રાણા, લીંબડી ( ક્ષત્રિય )
(7) આર. સી. મકવાણા, મહુવા ( OBC )
(8) જીતુ વાઘાણી, ભાવનગર વેસ્ટ ( પટેલ )
મધ્ય ગુજરાતમાંથી મંત્રીમંડળમાં કોણ હશે?
(1) જગદીશ પંચાલ, નિકોલ ( OBC)
(2) નિમિષા સુથાર, મોરવા હડફ ( ST )
(3) પ્રદિપ પરમાર, અસારવા ( SC )
(4) અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ ( OBC )
(5) કુબેર ડિંડોર, સંતરામપુર ( ST )
(6) મનીષા વકીલ : SC
ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલને રવિવારના રોજ સર્વાનુમતે ભાજપના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને સોમવારના રોજ ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
અમિત શાહ શપથવિધિ સમારોહમાં હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની નિયુક્તિ માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની નિકટતાને આભારી છે. કોરોનાવાયરસની મહામારી દરમિયાન ભાજપ શાસિત રાજ્યોમાં પદ છોડનારા ચોથા મુખ્યમંત્રી રૂપાણીએ આ વર્ષે 7 ઓગસ્ટના રોજ કાર્યાલયમાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા.
ગુજરાત સરકારે ચહેરો નહીં, પોતાનું કેરેક્ટર બદલવાની જરૂર : કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર નિશાન સાધતા કહ્યું કે, રાજ્ય સરકારે પોતાના "ચહેરા" ને બદલે "કેરેક્ટર" બદલવાની જરૂર છે. સોમવારના રોજ અમદાવાદના રાજીવ ગાંધી ભવનમાં પત્રકાર પરિષદમાં બોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) ના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, શનિવારના રોજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસેથી માંગવામાં આવેલ રાજીનામું કોરોના કાળ દરમિયાન ગુજરાત સરકારની ગુનાહિત બેદરકારી અને બિનકાર્યક્ષમતા સાબિત કરે છે.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર, 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા છે, જે પાટીદાર સમાજમાંથી આવે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 182 માંથી 99 બેઠકો ભાજપે જીતી હતી. આ સાથે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.