ગરીબ પરિવારોના જીવન નિર્વાહનું મોટું માધ્યમ બની અંત્યોદય યોજના
રાજ્યમાં ગરીબ પરિવારોના ઉત્થાન અને ઉત્કર્ષ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવતી હોય છે. જેમાં, ગરીબ અને અશક્ત લોકોને નિશુલ્ક અનાજ આપતી યોજના એટલે અંત્યોદય અન્ન યોજના.
રાજ્યમાં ગરીબ પરિવારોના ઉત્થાન અને ઉત્કર્ષ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવતી હોય છે. જેમાં, ગરીબ અને અશક્ત લોકોને નિશુલ્ક અનાજ આપતી યોજના એટલે અંત્યોદય અન્ન યોજના. આ યોજના દ્વારા રાજ્યના 30 ટકા જેટલા ગરીબ અને અત્યંત ગરીબ પરિવારોને દર મહિને મફત અનાજ વિતરણ કરવામાં આવે છે.
જમીન વિહોણા ખેત મજૂરો, ગ્રામ્ય કારીગરો, ઝૂપડપટ્ટીમાં વસવાટ કરતાં લોકો, વિધવા, અપંગ-અશક્ત અને વૃદ્ધ વ્યક્તિઓ પર નિર્ધારિત પરિવારોને નજીવી કિંમતથી અનાજ આપવામાં આવે છે. ગરીબીના કારણે કોઇ પરિવારને ભુખ્યા રહેવાની નોબત ન આવે તે ઉદ્દેશ્યથી આ યોજના શરૂ કરવામાં આવેલી છે.
અંત્યોદય અન્ન યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવેલા પરિવારોને દર મહિને 15 કિલો ઘઉં અને 20 કિલો ચોખા સહિત કૂલ 35 કિલો અનાજનો જથ્થો 75 રૂપિયાની નજીવી કિંમતથી આપવામાં આવે છે. આ યોજના દ્વારા રાજ્ય સરકાર દ્વારા 28 હજાર મેટ્રિક ટન અનાજની ફાળવણી કરે છે. આ અંત્યોદય યોજના હેઠળ રાજ્યના 1.50 કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા છે, જેમને નજીવા દરે રાશન પ્રાપ્ત થાય છે.
સુઇગામના ઠાકરસીભાઇએ જણાવ્યું હતુ કે, આ અંત્યોદય અન્ન યોજનાના કારણે અમોના 10 લોકોના પરિવારનું ગુજરાન ચલાવવામાં ઘણી મદદ મળી છે. હાલમાં મોંઘવારી અને ધંધા રોજગારીના અભાવે મોટા પરિવારનું ગુજરાન કરવું કઠીન છે, ત્યારે આ યોજના જીવાદોરી સમાન છે.
ત્યારે, અન્ય એક પૂનમ વાઢેરે જણાવ્યું હતુ કે, અમો ગામડામાંથી માઇગ્રેટ થઇને શહેરમાં વસવાટ કરવા આવી ગયા છીએ. પરંતું, આ બાયોમેટ્રીક સિસ્ટમથી અનાજ આપવામાં આવતું હોવાના કારણે અમને અહીં શહેરમાં પણ આ અનાજનો જથ્થો મળી રહે છે. જેના કારણે, અમારે શહેરમાં પણ ગુજરાન ચલાવવાની ચિંતા નથી.
રાજ્યમાં અંત્યોદય અન્ન યોજના રાશનકાર્ડ ધારકને દર મહિને માન્ય સરકારી રાશન શોપ પરથી આ જથ્થો પુરો પાડવામાં આવે છે. જેના માટે રાજ્ય સરકાર ગેરરીતી ન આચરાય તે માટે બાયોમેટ્રીક સિસ્ટમ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ગરીબી દૂર કરવામાં આ અંત્યોદય યોજના ઘણી સફળ સાબિત થઇ છે. જેના કારણે ઘણા ઓછા ખર્ચે પરિવારોનું નિર્વાહ કરવાનું સરળ બન્યું છે. રાજ્યમાં વર્તમાન સરકારે આ યોજના માટે 125 કરોડ જેટલી રકમની બજેટમાં જોગવાઇ પણ કરી છે.
સસ્તા અનાજની દુકાનના સંચાલક ભરત ચૌધરીએ જણાવ્યું હતુ કે, ગરીબ અને અશક્ત પરિવારો આ અનાજની રાહ જોતા હોય છે. જેમના આવકના સોર્સ નથી તેવા કેટલાય પરિવારો માટે આ અનાજ ગુજરાન ચલાવવાનો મુખ્ય આધાર છે, તહેવારો વખતે ખાદ્યતેલ અને તુવેર દાળ તથા ખાંડનું પણ નજીવા દરે વિતરણ કરવામાં આવે છે.
ખરેખર રાજ્યની વિશાળ આબાદી બે ટંક ભુખી ન રહે અને પૌષ્ટીક આહાર મળી રહે તે માટેની આ યોજના રાજ્યના વર્તમાન મુખ્યમંત્રીના સર્વોદયો ભવઃ ભાવાર્થને સિદ્ધ કરતી અને ગરીબ કલ્યાણની ચિંતા કરતી અંત્યોદય યોજના અનેક ભુખ્યાજનોના જઠરાગ્નિ ઠારતી અન્નપૂર્ણા યોજના સમાન છે.