Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

25 નગરપાલિકાઓમાં 605 કરોડથી વધુના કામોને મળી મંજૂરી, જાણો શહેર અને વિકાસના કામો

Gujarat Government: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શહેરી જનસુખાકારી અને નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસના કામો માટે એક જ દિવસમાં રૂપિયા 605.48 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2010માં શરૂ કરવામાં આવેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના SJMSVY અંતર્ગત મંજૂર કરવામાં આવેલી આ રકમમાંથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ, તળાવ બ્યુટિફિકેશન, શહેરી સડક યોજના, પાણી પુરવઠા, આઉટ ગ્રોથ વિકાસ અને રેલવે ઓવરબ્રિજ સહિતના કામો હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ રકમનો લાભ લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, વલસાડ, સોનગઢ, સાણંદ, હળવદ, ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા નગરપાલિકાઓ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને વિવિધ વિકાસ કામો માટે મળવાનો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો - શહેરોમાં વસવાટ કરતા નાગરિકોને પાણી, વીજળી, ગટર, રસ્તા જેવી ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓ સુચારુ રીતે પૂરી પાડવા સાથે પર્યાવરણ પ્રિય વાતાવરણ અને વૈશ્વિક પ્રવાહોથી પરિચિત રાખતી વાંચન પ્રવૃત્તિનો પણ વ્યાપ વધારવાનો સર્વગ્રાહી શહેરી જન જીવન સુખાકારીનો અભિગમ અપનાવ્યો છે.

નગરોમાં વધતા જતા વિકાસને અનુલક્ષીને પર્યાવરણ જાળવણી-શુદ્ધિ અને સીટી બ્યુટીફિકેશનના હેતુસર રાજ્યની 25 નગરપાલિકાઓને નવીન બાગ બગીચા વિકસાવવા માટે 40 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરપાલિકાઓમાં બાગ-બગીચા વિકસાવી સીટી બ્યુટીફિકેશન થાય અને લોકોને હરવા ફરવાના સ્થળો ઉપલબ્ધ થાય તેવા અભિગમ આ યોજનામાં અભિપ્રેત છે.

Gujarat Government

મુખ્યમંત્રીએ નગરોમાં વસતા લોકોની વાંચન ભૂખ સંતોષવા 13 નગરપાલિકાઓને ગ્રંથાલય-લાઇબ્રેરી નિર્માણ માટે નગરપાલિકા દીઠ રૂપિયા 3 કરોડ મળી કુલ 39 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

આ સાથે 22 નગરપાલિકાઓમાં હાલ કાર્યરત ગ્રંથાલયના ભવનના રિનોવેશન કરીને સ્માર્ટ ગ્રંથાલય તરીકે પ્રસ્થાપિત કરવા પ્રત્યેકને રૂપિયા 1.50 કરોડ પ્રમાણે કુલ 33 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

નગરપાલિકાઓને આઉટગ્રોથ વિસ્તારોના વિકાસ માટે રૂપિયા 15.72 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તેમાં હળવદને ભૂગર્ભ ગટર, સીસી રોડ, પાણીની લાઈન અને સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂપિયા 4.49 કરોડ, ગણદેવીને જલારામ મંદિરથી કસ્બાવાડી રેલવે ફાટક સુધી તથા ધનોરી રોડ પર સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂપિયા 72.69 લાખ, દ્વારકા નગરપાલિકામાં રેલવે અન્ડરબ્રિજ ટુ ટ્રેક સી.સી. રોડ બનાવવા રૂપિયા 4.62 કરોડ, ધરમપુરને સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂપિયા 1.90 કરોડ અને લીંબડીને સીસી રોડના કામો માટે 3.77 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

ખંભાત અને દાહોદ નગરપાલિકાને પાણી પુરવઠા યોજના માટે રૂપિયા 112.53 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ખંભાત શહેરમાં નવા વોટર સપ્લાય નેટવર્ક પ્રોજેક્ટ માટે રૂપિયા 66.11 કરોડ તથા દાહોદ નગરપાલિકાને પાણી પુરવઠાની કામગીરી માટે રૂપિયા 56.42 કરોડ મંજૂર કરાયા છે. આ રકમમાંથી દહોદમાં પાટા ડુંગરી ડેમથી અલગ પાઈપલાઈનની કામગીરી તથા નગરપાલિકાના તમામ વોટરવર્ક્સને ઇન્ટરકનેક્ટ કરવાના કામો કરવામાં આવશે.

સાણંદ, વિરમગામ નગરપાલિકા અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળને સિટી અને તળાવ બ્યુટિફિકેશન માટે રૂપિયા 26.35 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમા સાણંદ નગરપાલિકા વિસ્તારમાં મહત્વના રસ્તાઓ પર બ્યુટિફિકેશનની કામગીરી માટે રૂપિયા 13.50 કરોડ, વિરમગામ નગરપાલિકાને તળાવ બ્યુટિફિકેશનના કામ માટે રૂપિયા 6.42 કરોડ અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળને ઘોઘા ગામસર તળાવના બ્યુટિફિકેશન માટે રૂપિયા 6.43 કરોડ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાને કરચલિયા પરા વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામો માટે રૂપિયા 99.89 કરોડ તથા માંડવી-કચ્છ નગરપાલિકાને 16.86 કરોડ અને મુંદ્રા-બારાઈ નગરપાલિકાને 1.64 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે.

મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત વિવિધ નગરપાલિકાઓને શહેરી રસ્તાઓના નિર્માણ માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 15.29 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. તે અંતર્ગત બારડોલીને 99.52 લાખ, સોનગઢને 29.74 લાખ, વલસાડને 1.02 કરોડ, બીલીમોરાને 70.15 લાખ, સાણંદ નગરપાલિકાને 40 લાખ, પાદરા નગરપાલિકાને 42.90 લાખ, બાબરા નગરપાલિકાને 3.67 કરોડ તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને 7.78 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં વડોદરા મહાનગરપાલિકાને સીસી રોડ તથા પેવર બ્લોક માટે ઉત્તર ઝોનના 12 કામો માટે 2.02 કરોડ રૂપિયા તેમજ દક્ષિણ ઝોનના 15 કામો માટે 2.08 કરોડ રૂપિયા મળી કુલ 4.10 કરોડ રૂપિયા તથા માણસા નગરપાલિકાને 35.22 લાખ રૂપિયા ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં શહેરની આગવી ઓળખના વિકાસ કાર્યો માટે કુલ 104 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. આ કામોમાં લાલકોર્ટ ઇમારતના આધુનિકીકરણ માટે રૂપિયા 40 કરોડ, કમાટીબાગ પાસે નવીન ફુટ ઓવરબ્રિજ માટે રૂપિયા 12 કરોડ, ગોત્રી તળાવ ખાતે યોગ સેન્ટર અને લાઈબ્રેરી માટે રૂપિયા 2.5 કરોડ, હરણી તળાવ ખાતે યોગ સેન્ટર અને લાઈબ્રેરી માટે રૂપિયા 2.5 કરોડ, નવનાથ મંદિરોના ગેટ માટે રૂપિયા 2 કરોડ, ગાંધીનગર-ગૃહના નવીનીકરણ માટે 10 કરોડ, સમા ખાતે નગરગૃહ માટે રૂપિયા 20 કરોડ, કામનાથ મંદિર અને કમાટીબાગને જોડતા વોકિંગ બ્રિજ માટે રૂપિયા 10 કરોડ તેમજ પારેશ્વર મહાદેવ મંદિરથી ગોત્રી ગાર્ડનને જોડતા આર.સી.સી. કેબલ વોકિંગ બ્રિજના કામોનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત નાગરિકોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવા તથા યાતાયાતને વધુ સુગમ બનાવવાના હેતુથી દ્વારકા અને ધ્રાંગધ્રા નગરપાલિકાને રેલવે ઓવરબ્રિજ માટે રૂપિયા 88.88 કરોડ મંજૂર કર્યા છે. તેમાં દ્વારકા નગરપાલિકાને રૂપિયા 49.87 કરોડ અને ધ્રાંગધ્રા નગરપાલિકાને રૂપિયા 39.01 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ સમગ્રતયા વિકાસકામોથી નગરપાલિકાઓ, મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારોની શહેરી સુખાકારીમાં વધારો થશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X