અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમને પગલે સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બન્યો, માછીમારો માટે 3 નંબરનું સિગ્નલ
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાતાવરણ પલટાયું છે અને દરિયો તોફાની બનવાની શક્યતા છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ દરિયાકિનારાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌથી મહત્વની વાત એ છે કે, અમરેલી જિલ્લાના અગ્રણી બંદર એવા જાફરાબાદ બંદર પર હવામાન વિભાગ દ્વારા 1 નંબરનું સિગ્નલ હટાવીને તાત્કાલિક ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

આ ફેરફાર સૂચવે છે કે દરિયામાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની સંભાવના છે અને માછીમારો તેમજ દરિયાકિનારાના લોકોને ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.
ડિપ્રેશન સિસ્ટમને કારણે દરિયામાં ભારે કરંટ અને મોજાં ઉછળવાની સંભાવના હોવાથી જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યા બાદ માછીમારોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી આદેશ ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડે.
હાલમાં જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, ધારાબંદર અને શિયાળ બેટ જેવા સૌરાષ્ટ્રના મહત્વના દરિયાકાંઠા વિસ્તારોમાં દરિયામાં મોજાં ઉછળવાની શરૂઆત થઈ ચૂકી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આ તમામ વિસ્તારોમાં દરિયો આગામી કલાકોમાં વધુ તોફાની સ્વરૂપ ધારણ કરી શકે છે, જેના પગલે તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
તંત્ર દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ દરિયાકિનારાના વિસ્તારોથી દૂર રહે અને કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપીને માત્ર સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરે.












Click it and Unblock the Notifications
