અરાઉન્ડ ધ ગુજરાતઃ રાજ્યમાં 28 નવેમ્બરે આ બાબતો રહી ચર્ચામાં
ગાંધીનગર, 28 નવેમ્બરઃ ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, સુરત જહાંગીરપુરા આશ્રમ બળાત્કાર કેસમાં નારાયણ સાઇની સાધિકા ગંગાને સુરત કોર્ટ દ્વારા 15 હજારના બોન્ડ જામીન આપવામાં આવ્યા છે. સુરતના અન્ય સમાચાર અંગે વાત કરવામાં આવે તો આજે સવારે આઇટી વિભાગ દ્વારા વિવિધ વેપારી, વકીલ અને સીએને ત્યા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના સમાચાર અંગે વાત કરવામાં આવે તો એક બિઝનેસમેન દ્વારા તેની પત્નીના ફોટા ફેસબુક પર મુકી અશ્લીલ ટિપ્પણી કરવામાં આવતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ સાંપડ્યા છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સુરતઃ લગ્નના એક માસ બાદ પતિ સાથે રહેવાનો પત્નીનો ઇન્કાર
સુરત શહેરમાં લવમેરેજ કરનાર એક જોડામાં પત્ની એક માસના સમયમાં જ પતિને છોડીને જતી રહેતા લોકોમાં આ મામલાએ ખાસી ચર્ચા જગાવી છે. મળતી માહિતી અનુસાર પ્રેમ લગ્ન કર્યા બાદ સુરતની સચીન પોલીસે નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપેલી પત્નીનો સર્ચ વોરંટથી કબજો મેળવવા માટે પતિ દ્વારા અરજી કરવામાં આવી હતી. જેના પગલે કોર્ટમાં હાજર થયેલી પત્ની દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મારા માટે અરજી કરનાર અન્ય કોઇ નહીં પરંતુ મારા પતિ છે અને હું તેમની સાથે જવા નથી માગતી. યુવતી પુખ્ત હોઇ એડીશનલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ આઇ કે જાંગીડે યુવકની સર્ચ વોરંટની અરજીને રદ કરવાનો હુકમ કર્યો હતો.

અમદાવાદઃ આતિફનો શો કેન્સલ થતા પૈસા પરત લેવા કતાર
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાની સિંગર આતિમ અસ્લમની મ્યુઝિકલ નાઇટ 23મી નવેમ્બરે યોજાવાની હતી, પરંતુ વિહિપ દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, જેના કારણે આયોજકોએ આ શો રદ કરવાની ફરજ પડી હતી. જો કે આયોજકો દ્વારા આ શો દરમિયાન લેવામાં આવેલી રકમ પરત કરવામાં નહીં આવતા આનંદનગર પોલીસ મથકે લોકોના ટોળા ઉતરી આવ્યા હતા અને રકમ પરત માંગી હતી. આખરે આયોજકોએ પોલીસ સ્ટેશનમાં અંદાજે બેથી અઢી લાખ રૂપિયાની લાગત ચુકવવી પડી હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટઃ દિયરે ધમકાવીને ભાભી સાથે માણ્યું શૈયાસુખ
જામકંડોરણાના મેઘાવડ ગામે કૌટુંબિક દિયરે ધમકાવીને ભાભી સાથે વારંવાર શૈયાસુખ માણ્યું હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે. મળતી માહિતી અનુસાર મેઘાવડ ગામે ભરવાડ પરિણીતા વહેલી સવારે કુદરતી હાજતે જતી ત્યારે લાગ મેળવીને કૌટુંબિક દિયર નારદ છગન સિયાળે ભાભી પર વાંરવાર બળાત્કાર ગુજાર્યો અને તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. દિયરે તમામ સીમાઓ લાંધી લેતા ત્રાહિત ભાભીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ જામકંડોરણાના પીએસઆઇ બીએમ પાટીદારને સોંપવામાં આવી છે.

સુરતઃ ITના દરેડાથી વેપારી આલમમાં ફફડાટ
મળતી માહિતી અનુસાર સુરત શહેર ખાતે આઇટી વિભાગ દ્વારા વહેલી સવારે વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેના કારણે વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. આઇટી વિભાગ દ્વારા બિલ્ડર, વકીલ, સીએ અને યાર્નના વેપારીઓને સાણસામાં લેવામાં આવ્યા છે. તેમજ ડાઇંગ મીલના માલિકની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આઇટીના કુલ 125 જેટલા અધિકારીઓ દ્વારા 25 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, ઘણા લાંબા સમય બાદ આઇટી વિભાગ દ્વારા વકીલ અને સીએને સાણસામાં લેવામાં આવ્યા છે.

સુરતઃ નારાયણ સાઇની સાધિકા ગંગાના જામીન મંજૂર
જહાંગીરપુરા આશ્રમ બળાત્કાર કેસમાં નારાયણ સાઇ કેસમાં સુરત કોર્ટ દ્વારા સાધિગા ગંગાના જામીન મજૂંર કરવામાં આવ્યા છે. સાધિકા ગંગાને 15 હજારના બોન્ડ જામીન મળ્યા છે. ખાસ કરીને એ વાતને ધ્યાનમાં રાખવામાં આવી છે કે, બળાત્કારમાં તે સીધી સામેલ ન હોવાનું અને તેની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખીને કોર્ટે તેને જામીન આપ્યા છે. બીજી તરફ નારાયણ સાઇ દ્વારા ધરપકડ વોરંટ રદ કરવા માટે જે અરજી કરવામાં આવી હતી, તેની સુનાવણી આજે હાથ ધરવામાં આવનાર છે.

વડોદરાઃ નકલી ચલણી નોટમાં વેપારીને ત્યા પોલીસનું સર્ચ
વડોદરા જિલાલાના મુજમહુડા ખાતે આવેલી મોબાઇલની દુકાનમાં છ હજારની આસપાસની નકલી ચલણી નોટ સાથે પકડાયેલા પાદરાના યુવક મેહુલ નગીનભાઇ ડબગર દ્વારા આ નકલી ચલણી નોટ તેના શેઠ યોગેશ રમેશભાઇ ડબગર દ્વારા આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યા બાદ જેપી રોડ પોલીસ દ્વારા ઉક્ત વેપારીના પાદરાના ગોવિંદપુરા સ્થિત ઘર અને દુકાન ખાતે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જો કે, પોલીસ આવે તે પહેલા આ વેપારી ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસ દ્વારા તેની શોધખોળ આદરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટઃ રમૈયા વસ્તાવૈયાના અભિનેતાએ કર્યા મોદીના વખાણ
પોતાની ફિલ્મ રમૈયા વસ્તાવૈયાના ટેલિવિઝ પ્રિમિયરના પ્રમોશન માટે ગુજરાત આવેલા ગિરિશ કુમારે રાજકોટ ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેણે રાજકોટમાં જણાવ્યું છે કે, રાજકોટ એરપોર્ટ પર તેણે જે સ્વસ્છતા જોઇ છે એ મુંબઇના એરપોર્ટ પર પણ જોવા મળતી નથી. ગુજરાતના એરપોર્ટમાં ઉતરતા જ જાણે કે સ્વચ્છ રાજ્યમાં ઉતર્યા હોવાની અનુભૂતિ થાય છે. ગુજરાતમાં અનેક સારા કાર્યો થયા છે અને તે ચોક્કસપણે રાજ્યના લીડરને આભારી છે.

રાજકોટઃ યાર્ડ પ્રકરણમાં તણખા ઝર્યા
રાજકોટના નવા માર્કેટિંગ યાર્ડમાં ભાજપના બે જૂથ રાદડિયા અને હરદેવસિંહ જૂથ વચ્ચે તણખા ઝર્યા હોવાના અહેવાલ છે. જેના કારણે પ્રદેશ ભાજપમાં પણ ચિંગારી ભડકી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાદડિયાને ભાજપમાં લાવવા માટે સક્રિય ભૂમિકા ભજવનારા નેતા અને હરદેવસિંહનો પક્ષ ખેંચતા નેતાઓ આમને સામે આવી ગયા છે અને રાદડિયા તથા હરદેવસિંહનો વાંક કાઢવામાં લાગી ગયા હોય બન્ને વચ્ચે વિખવાદનો દોર શરૂ થયો હોવાનું પણ બહાર આવી રહ્યું છે.

અમદાવાદઃ પતિએ પત્નીનો ફોટ FB પર મુકી અભદ્ર ટિપ્પણી કરી
અમદાવાદ શહેરમાં રહેતા એક સમૃદ્ધ પરિવારમાં વિખાવદ થયો હોવાના અહેવાલ સાંપડ્યા છે. પતિ ઇન્દોર સ્થિત બિઝનેસમેન છે અને પત્ની અમદાવાદ ખાતે ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહી છે. બન્ને વચ્ચે કારણોસર ઘરકંકાશ શરૂ થયા બાદ બન્ને વચ્ચે અનેકવાર ઝઘડા થયા હતા અને બન્ને અલગ થઇ ગયા હતા. ત્યારબાદ પતિ દ્વારા પત્નીના ફોટાને ફેસબુકમાં મુકીને અશ્લીલ ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જેની જાણ પત્નીને થતાં તેણે પોલીસને જાણ કરી હતી. મળતી માહિતી અનુસાર પોલીસે ઇન્દોરના બિઝનેસમેનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
