અરાઉન્ડ ધ ગુજરાતઃ વાંચો, આજે રાજ્યમાં ક્યાં શું થયું
ગાંધીનગર, 4 ડિસેમ્બરઃ ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, વાંકાનેરના ગારીડા ગામ ખાતે ગત 2 તારીખના રોજ એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હતો, જેની ઓળખ કરવામાં પોલીસને સફળતા મળી છે. માહિતી અનુસાર આ મૃતદેહ રાજકોટના રૈયારોડ પર ચંદનપાર્કમાં સંજીવની એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિનભાઇ મૃતભાઇ ધીંગાણીનો છે. સુરતમાં 167 પશ્ચિમ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે બુધવારે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. વડોદરા નજીક આણંદ ખાતે ડોક્ટર ભગવાન બન્યા હતા અને એક મહિલાને નવજીવન આપ્યું હતું. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.
રાજકોટઃ યુવાનના કટકા કરી સળગાવી દીધો
વાંકાનેરના ગારીડા ગામ ખાતે ગત 2 તારીખના રોજ એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હતો, જેની ઓળખ કરવામાં પોલીસને સફળતા મળી છે. માહિતી અનુસાર આ મૃતદેહ રાજકોટના રૈયારોડ પર ચંદનપાર્કમાં સંજીવની એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિનભાઇ મૃતભાઇ ધીંગાણીનો છે. તેઓ જમીનનો વ્યવસાય કરતા હતા. મૃતકના પત્નીએ પોલીસને જણાવ્યા પ્રમાણે અશ્વિનભાઇને રાણી ટાવરમાં ઓફિસ ધરાવતા નિવૃત ડીવાયએસપીના પુત્ર અજયસિંહ પ્રતિપાલસિંહ ઝાલા સાથે 17 લાખનો વહીવટ હતો, જે સબબ અગાઉ પણ અશ્વિનભાઇનું એક વાર અપહરણ કરવામાં આવ્યું હતું. ગત 28 નવેમ્બરે અજયસિંહ પૈસાની વસુલાત માટે અશ્વિનભાઇને ઉઠાવી ગયા હતા અને અશ્વિનભાઇના પત્નીને ફોન પર ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ 2 ડિસેમ્બરે ગારીડા પાસેથી એક મૃતદેહ મળ્યો હતો, તપાસ કરતા એ મૃતદેહ અશ્વિનભાઇનો હોવાનું બહાર આવ્યું હતું. પત્ની દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે વાકાનેર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતઃ પેટા ચૂંટણીમાટે મતદાન
સુરતમાં 167 પશ્ચિમ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે બુધવારે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. આ બેઠકમાં કુલ 1.03 લાખ પુરુષો અને 99 હજાર મહિલાઓ મળીને કુલ 2.02 લાખ મતદાતાઓ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા 47 બિલ્ડિગોના 201 મતદાન મથકોમાં પાર પાડવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે પ્રશાસન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
વડોદરાઃ મહિલાને ડોક્ટરે આપ્યુ નવજીવન
વડોદરા નજીક આણંદ ખાતે ડોક્ટર ભગવાન બન્યા હતા અને એક મહિલાને નવજીવન આપ્યું હતું. આણંદ કાતે આવેી કાન, નાક અને ગળાની હોસ્પિટલમાં ડોક્ટરોએ એક મહિલાના ગળામાં પાંચ વર્ષથી લટકતી શ્વાસ લેવાની ટ્યૂબ કાઢી અત્યંત જટિલ ઓપરેશન પાર પાડ્યું હતું. માહિતી અનુસાર પાંચ વર્ષ પહેલા આ મહિલાના ગળામાં અકસ્માતે એસિડ જતુ રહ્યું હતુ અને તેમને ગંભીર ઇજા થઇ હતી. સઘન સારવાર બાદ તેમનો જીવ બચી ગયો હતો પરંતુ તેમને શ્વાસ લેવા માટે શ્વાસનળીમાં ટ્યૂબ મુકવાની ફરજ પડી હતી. આ ટ્યૂબ કાઢવાનો એકવાર પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરો નિષ્ફળ નીવડ્યા હતા. ત્યારબાદ આણંદની શ્રી કૃષ્ણ હોસ્ટિપલનો સંપર્ક કરવામાં આવ્યો અને આ મહિલા પર સફળ ઓપરેશન હાથ ધરી તેમને નવજીવન આપવામાં આવ્યું હતું.
રાજકોટઃ કોલેજિયન યુવાને કર્યો આપઘાત
આત્મહત્યા કરવાના મામલે ત્રીજા ક્રમાંકે આવેલા રાજકોટ શહેરમાં વધુ એક યુવાને આત્મહત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માહિતી અનુસાર આજીડેમ ખાતે મગંળવારે સવારે એક યુવાને પાણીમાં ઝંપલાવ્યું હોવાની બાતમી ફાયરબ્રિગેડને મળી હતી અને કાફલો આજી ડેમે દોડી ગયો હતો. ભારે જહેમત બાદ કાફલાએ એ યુવાનને બહાર કાઢ્યો હતો અને આત્મહત્યાના બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં યુવાન કોઠારિયા રોડ પર આવેલા ગોકુલનગર-2માં રહેતા જય હર્ષદભાઇ કક્કડ હોવાનું અને તે જસાણી કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસ દ્વારા આ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.