Gujarat Assembly Election: મહિલાઓ અને યુવાનો આમ આદમી પાર્ટી સાથે હોવાનો કેજરીવાલનો દાવો
અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તાબડતોડ રેલીઓ શરૂ કરી દીધી છે જેમાં તેમણે યુવતીઓ અને યુવાનો આમ આદમી પાર્ટી સાથે હોવાનો દાવો કરતાં AAP 92થી વધુ સીટ જીતતી હોવાનો દાવો કર્યો છે.
Arvind Kejriwal એ પંજાબ વિધાનસભા ચૂંટણી વખતે કરેલી એક ભવિષ્યવાણી સાચી પડી હતી, જેમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે પંજાબમાં કોંગ્રેસનું ખાતું પણ નહીં જીતે અને આમ આદમી પાર્ટીની જીત થશે. આ ભવિષ્યવાણી તો સાચી પડી હતી પરંતુ હવે અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 92થી વધુ સીટ જીતતી હોવાનો દાવો કર્યો છે. કેજરીવાલે કહ્યું કે આ વખતે ગુજરાતમાં મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી 92થી વધુ સીટ જીતી રહી છે. તેમણે કહ્યું કે મહિલાઓ અને યુવાનો આમ આદમી પાર્ટી સાથે હોવાનું બધા જ સર્વે દેખાડી રહ્યા છે અને તેમની પાર્ટી ભાજપથી ખૂબ આગળ છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે ગુજરાતની મહિલાઓ અને યુવાઓને ખાસ અપીલ કરી છે અને કહ્યું કે તમે તમારા ઘરના બધા જ મત આમ આદમી પાર્ટીને અપાવો.
સુરતમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'ગુજરાતની મહિલાઓ અને યુવાનોને અપીલ છે કે તમે તો અમને મત આપી રહ્યા છો, પરંતુ તમારા પરિવારના બાકીના સભ્યોને બેસાડીને સમજાવો કે તેઓ આમ આદમી પાર્ટીને મત આપે.' આમ આદમી પાર્ટીના સંયોજકે કહ્યું કે ફ્રી વીજળી, દરેક મહિલાને 1000 રૂપિયા પ્રતિ મહિને, ફ્રી અને સારો ઈલાજ, મોંઘવારીમાંથી મુક્તિ મળશે અને માત્ર આમ આદમી પાર્ટી જ મોંઘવારીથી મુક્તિ અપાવી શકે છે.
ગુજરાતમાં સત્તારુઢ ભાજપ પર આરોપ લગાવતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'અલગ અલગ શહેરોમાં જઈ વેપારીઓ સાથે મીટિંગ કરી હતી. એક જ વાત સામે આવી છે કે ભાજપ તેમની સાથે ગુંડાગર્દી કરી રહી છે. વેપારીઓને ગાળો આપવામાં આવી રહી છે, ધમકાવવામાં આવી રહ્યા છે અને વસૂલી કરવામાં આવી રહી છે. આ બદલાવની ચૂંટણી છે. બધા વેપારી ચૂપચાપ આમ આદમી પાર્ટીને વોટ આપી રહ્યા છે. આ અપમાનના સિસ્ટમને ઉખાડી ફેંકો.'
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'એકલી આમ આદમી પાર્ટી જ છે જે બેરોજગારીથી મુક્તિ અપાવી શકે છે અને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપી શકે છે. પેપર ફૂટવાથી મુક્તિ અપાવી શકે છે, પેપર વેચવા વાળા 12 મામલાને ખોલી 10-10 વર્ષની સજા અપાવશે. 1 વર્ષમાં જ બધી સરકારી ભરતી કરાવશે.'
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં થોડા દિવસો જ બાકી છે અને એવામાં રાજનૈતિક દળોએ પૂરી તાકાત લગાવી દીધી છે. ગુજરાતની 182 વિધાનસભા ચૂંટણી સીટ માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થનાર છે, જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી થશે. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ ઉતરી છે. જેનાથી ગુજરાતમાં ત્રિકોણીય મુકાબલો બની ગયો છે. ભાજપ જ્યાં સત્તામાં રહેવાની પૂરી કોશિશમાં છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેને આકરી ટક્કર આપી રહી છે.