અમદાવાદમાં છરાબાજીનો આતંકઃ ગુજરાતમાં ચૂંટણી માહોલ ડહોળવાનો પ્રયાસ?
માહિતી અનુસાર, સીટીએમ ચાર રસ્તા નજીકની અમીઅખંડઆનંદ સોસાયટી પાસે રવિવારે રાતના સવા બાર વાગ્યે કાળા રંગની બાઇક પર આવેલા અને કાળા રંગનાં વસ્ત્રો પહેરેલા બન્ને યુવકોએ તમે અહીં શા માટે ઉભા છો તેમ કહી કાળીદાસ પટેલ અને અંબાલાલ પટેલ છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ બાઇકને આગળ લઇને અન્ય ત્રણ યુવકો પાસે જઇ એક યુવકને છરી મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ નિવડ્યા હતા. થોડેક આગળ જઇને તેમણે મંગેશ કારવાણી નામના યુવકને રોકી તેની બાઇક પાછળ બેસેલા યુવકને છરી મારી હતી.
સીટીએમ પાસે આતંક મચાવ્યા બાદ બંને યુવકો અમરાઇવાડી જોગેશ્વરીપાર્ક તરફગયા હતા જ્યાં ભીમાસા બાકલેને તથા તેજેન્દ્રપાર્કના નાકા પાસે જસ્મીન બારોટને પણ છરી મારી હતી. સીટીએમથી અમરાઇવાડી સુધીના રસ્તા પર એક સાથે પાંચ વ્યક્તિઓ પર એક જ પદ્ધતિથી હુમલો થતા ભારે નાસભાગ મચી ગઇ હતી. હુમલાનો ભોગ બનનાર તમામને સારવાર માટે એલજી હોસ્પિટલ લવાયા હતા જ્યાં અંબાલાલ પટેલને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે નાકાબંધી ગોઠવી છે પરંતુ બાઇક પર આવેલા હુમલાખોરોનો ભાળ મળી નથી. હાલ તપાસ ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં 13 અને 17 તારીખ એમ બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી થઇ રહી છે, હાલ ગુજરાતમાં શાંતિનો માહોલ છે, ત્યારે વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ પ્રકારે કારણ વગર જ લોકો પર હુમલો કરીને શહેરનું વાતાવરણ બગાડી ચૂંટણી માહોલની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચારેકોર થવા માંડી છે. જો કે, ઉક્ત બન્ને યુવકોએ શા માટે આવી હરકત કરી તે તો તેઓ પકડાશે ત્યાર પછી જ જાણી શકાશે.