કોંગ્રેસે ભુતકાળમાં નર્મદાનું પાણી ખેડૂતોને મળતું અટકાવવાનું પાપ કર્યુ છેઃ ભાજપ
કોંગ્રેસે ખેડૂતોનું પાણી અટકાવવાનું પાપ કર્યુંઃ ભાજપ
ભાજપ નર્મદાના મુદ્દે કૉંગ્રેસ પર માછલાં ધોવાની એક તક પણ જતી કરવા તૈયાર નથી. દેશ અને દુનિયામાં ભાજપ નર્મદાના નીર ખેડૂતો સુધી તેમના કારણે જ પહોચ્યા હોવાનો દાવો સતત કર્યે રાખે છે. ત્યારે, તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ કૉંગ્રેસ પર નર્મદાના મુદ્દે પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે નર્મદા યોજના સતત રોકવાનું પાપ કર્યું છે એટલે કોંગ્રેસ પ્રાયર્શ્ચિત માટે 100 દિવસના ઉપવાસ કરે તો પણ ઓછા છે. નર્મદા યોજનાને સતત રોકીને આખા ગુજરાતમાં પાણી અટકાવનાર કોંગ્રેસને ખેડૂતોના મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી. સંગઠનના જમ્બોજેટ માળખા પછી પણ તીવ્ર જૂથબંધીને કારણે કોંગ્રેસના ધરણાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યાં.
કોંગ્રેસની વાતોમાં ન આવવા લોકોને ભાજપની અપીલ
સરકાર નર્મદાની મુખ્ય નહેર દ્રારા તમામ 39 શાખાઓમાં દૈનિક 19920 ક્યુસેક પાણી છોડી રહી છે ત્યારે કોંગ્રેસ ઉશ્કેરાટ અને અપપ્રચાર દ્વારા ખેડૂતોમાં વૈમનશ્ય ફેલાવે છે. બે ગામ વચ્ચે વેરઝેર ઊભા કરવાનો પ્રયાસ કરે છે. એકબાજૂ એમ કહે છે, પાણી વાળી લો, આગળ જવા ન દો અને બીજી બાજૂ જ્યાં પહોંચે નહીં ત્યાં એમ કહે છે કે તમને સરકાર પાણી આપતી નથી. દેખાવો કરો. જયાં પાણી ન પહોંચે ત્યાં કહે કે, પાણી વાળી લે છે ત્યાં ઘોડેસવાર પોલીસ મુકો અને જયાં પોલીસ મુકીએ છીએ ત્યાં એવું કહે છે કે ખેડૂતોને પોલીસ દંડે છે. કોંગ્રેસને વેરઝેર દ્વારા ખેડૂતોનું માત્ર નુકશાન કરવામાં જ રસ છે ત્યારે આ કોંગ્રેસની બે વિકૃત સ્વરૂપ ખેડૂતો ઓળખી લેવા અપીલ કરી.
પારદર્શી ખરીદી માટે સરકારે વ્યવસ્થા કરી
ભાજપ ખેડૂતોના લાભ માટે સતત કામ કરે છે સરકાર ખેડૂતહિતની યોજનાઓ અમલમાં મુકે છે, નિર્ણયો કરે છે. મગફળી ટેકાના ભાવે ખરીદીઓ થઈ રહી છે. ત્યારે મગફળી ખરીદી કરવી બહુ વ્યાપક અને મોટું અઘરૂ કામ છે. તેમાં નાના-મોટા ઈરાદાપૂર્વકના વિધ્નો સરકાર દૂર કરતી જાય છે. હાલમાં 96 કેન્દ્રો ઉપર અત્યાર સુધીમાં 17357 મેટ્રીક ટન મગફળીની ખરીદી થઈ છે. ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન થયા બાદ જ મગફળીની ખરીદી પારદર્શક રીતે કરવામાં આવે છે.ખરીદ કેન્દ્રો ઉપર વિડીયો શુટીંગ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની ગેરરીતી થઈ શકતી નથી. ખેડૂતોના ખાતામાં એક અઠવાડિયામાં પૈસા જમા કરવામાં આવે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
પશુપાલકો માટે પણ સરકારે તાકીદના પગલાં લીધાં
પશુપાલકોના મુદ્દે જયારે ભાજપ સરકારે પગલાં લીધાં ત્યારે બીજા દિવસે ઘરણાં કરવા બેસી ગયાં એટલે ભાજપ સરકાર જયારે જયારે લોકહિતના નિર્ણયો લીધાં હોય ત્યારે કોંગ્રેસ નાટક કરવા બેસી જાય છે. અછતગ્રસ્ત 56 તાલુકા સહિત અન્ય 45 તાલુકાને પણ અગાઉ ઈતિહાસમાં પ્રથમવાર આ પ્રકારે સમાવેશ કરવામાં આવ્યો છે. મનરેગા 150 દિવસની રોજગારી હોય. પશુધન માટે 12 કરોડ કિ.ગ્રા.ઘાસનું આયોજન હોય. વાસણ આહીરના નેતૃત્વમાં પંજાબમાં પશુ ઘાસચારા માટે એક ટીમ સરકાર મોકલી રહી છે અને પીવાના-સિંચાઈના પાણી તેમજ ઘાસની વ્યવસ્થા સરકાર કરી રહી છે ત્યારે કોંગ્રેસ કાગારોળ કરીને ગુજરાતની જનતાને ઉશ્કેરવાના નાટક કરી રહી છે. પરંતુ કોંગ્રેસના આવા નાટક જનતા કયારેય સ્વીકારવાની નથી.
રાજસ્થાન ચૂંટણીને લઇને નર્મદામાં છોડ્યા પાણી ?
રાજસ્થાનમાં ચૂંટણી હોવાના કારણે રાજ્ય સરકાર નર્મદાની મુખ્ય કેનાલમાં પુષ્કળ પાણી છોડી રહી છે. રાજસ્થાનમાં 74 કિમી જેટલી લાંબી મુખ્ય નહેરમાં બે લાખ હેક્ટરથી વધુ જમીનમાં સિંચાઇ માટે અને અનેક વિસ્તારોમાં પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન નર્મદાના પાણી હાલ રાજસ્થાનમાં ચૂંટણીને લઇને છોડવામાં આવી રહ્યા હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
હાર્દિક પટેલે ઓબીસી કમિશન સમક્ષ શું કરી રજુઆત? વાંચો અક્ષરશઃ પત્ર