રાજ્યસભાના ચાર સભ્યોની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસમાં કશ્મકશ
રાજ્યસભાના ચાર સભ્યોની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસમાં કશ્મકશ
ગુજરાતમાં 4 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી માટે પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપે પોતાના બે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે, કોંગ્રેસમાં બે ઉમેદવારોના નામ જાહેર કરવા મનોમંથન ચાલી રહ્યું છે. હજુ સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. હાલના વિધાનસભ્યોની સંખ્યાબળની દ્રષ્ટિએ બંને પક્ષો પાસે બે બે રાજ્યસભાના સભ્યો ચૂંટાવાની ક્ષમતા છે. જેના માટે ભાજપ દ્વારા પોતાનો ત્રીજો ઉમેદવાર ચૂંટાય તે માટેના પ્રયાસ અંદરખાનેથી થઇ રહ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.
ભાજપે અપનાવી નો રિપિટ થિયરી
ભાજપ દ્વારા નો રિપિટ થિયરી અપનાવતાં બંને નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપના ત્રણ સભ્યોનો કાર્યકાળ પુર્ણ થયો છે. જેમાં શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુની ગોહિલનો કાર્યકાળ પુર્ણ થયો છે. જ્યારે, કોંગ્રેસમાંથી મધુસૂદન મિસ્ત્રીનો કાર્યકાળ પણ પુર્ણ થયો છે. આ ચાર સભ્યોની રાજ્યસભાની ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે. ત્યારે, ભાજપે પોતાના બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે આદિવાસી ચહેરા તરીકે મહિલા ઉમેદવારને પ્રતિનિધિત્વ આપ્યું છે, જેમાં. રમિલા બારાની પસંદગી કરી છે. રમિલા બારા પૂર્વ ધારાસભ્ય હોવાની સાથે સાથે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વહિવટી અધિકારી છે. જ્યારે, બીજા ઉમેદવારમાં અભય ભારદ્વાજની પસંદગી કરવામાં આવી છે. અભય ભારદ્વાજ અગ્રણી વકિલ હોવાની સાથે સાથે આરએસએસ સાથે પણ જોડાયેલા છે. જેઓ, બાર એસોસિએશનના પ્રમુખ પણ રહી ચુક્યા છે.
કોંગ્રેસમાં ભરતસિંહના નામ પર દબાણ
કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના નામ પર પસંદગી થઇ ચુકી છે. રાજીવ શુક્લાના નામ પર ચર્ચા ચાલી રહી હતી. પરંતું. ભરતસિંહ સોલંકી જુથ દ્વારા તેમના નામ અંગે પ્રેસર બનાવવામાં આવી રહ્યું હોવાના કારણે બીજા ઉમેદવાર તરીકે તેમને ઉમેદવાર બનાવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. કોંગ્રેસે તેમના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીને પણ નો રિપિટ થિયરી અપનાવીને ફરીથી તેમને પસંદ કર્યા નથી. જો, ભાજપ દ્વારા કોઇ ગઠજોડ કે કોંગ્રેસના સભ્યો તોડવાનો પ્રયાસ ન થાય તો ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બનશે.
શું ભાજપ ત્રીજી બેઠક જીતી શકશે ?
રાજ્યના બંને મુખ્ય પક્ષો પાસે બે બે સભ્યો જિતવા માટે પુરતું સંખ્યાબળ છે. પરંતું, ભાજપને ત્રીજો સભ્ય ચૂ્ંટવા માટે 8 મત ખુટી રહ્યા છે. જેના કારણે ભાજપે સોગઠાં ગોઠવવા પ્રયાસ કરી દીધા છે. જેના કારણે, કોંગ્રેસના પાંચથી સાત સભ્યોને મતદાનથી દૂર રાખવાની કે ક્રોસ વોટીંગ કરાવવાના પ્રયાસ ભાજપ દ્વારા થઇ શકે છે.
આખરે મોડાસાની યુવતીના મૃત્યુ પરથી ઉંચકાયો પરદો, SITની તપાસમાં થયો ખુલાસો