ભાજપઃ શરૂઆતે 'નવડો' અને અભરખો છે 'દોઢસો' !
ડિસેમ્બરમાં બે તબક્કામાં એટલે કે 13મી ડિસેમ્બર અને 17મી ડિસેમ્બરે ચૂંટણી યોજાનારી છે. ચૂંટણીને લઇને ભાજપે તમામ પ્રકારની પ્રચાર પ્રક્રિયા અપનાવી છે. તેમાં પછી ટીવી એડ હોય, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ હોય કે પછી 3ડી અભિયાન હોય. તમામ મતદારોના મનમાં ભાજપ ગુજરાતીઓના માનસપટમાં વિકાસની ગાથા ઉતારવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે. 1995થી સત્તારૂઢ હોવા છતાં અને સતત વિકાસના કામો કર્યા હોવા છતાં શા માટે ભાજપ દ્વારા આ પ્રકારનો પ્રચાર અભિયાન અપનાવી રહ્યો છે તેવો પ્રશ્ન એક સમયે મનમાં ઉદ્દભવે છે, પરંતુ તેનો જવાબ પણ સાથે જ છે, શક્ય ત્યાં સુધી મતદારોના મનમાં ભાજપની છબીને સ્પષ્ટ કરવી અને માધવસિંહ સોલંકીએ જે ઇતિહાસ રચ્યો હતો તે ઇતિહાસનું પુનરાવર્તન કરવું.
સતત ઉર્ધ્વગતિએ
1962થી વાત નહીં કરીને આપણે ભાજપની રચના થઇ ત્યારથી વાત કરીએ તો 1980માં ભાજપ પહેલીવાર ચૂંટણીમાં ઝંપલાવ્યો હતો. તેણે વિધાનસભાની 182 બેઠકમાંથી 127 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાં તેને માત્ર 9 જ બેઠક મળી હતી. ત્યાર બાદ તેની બેઠકમાં ઉત્તરોત્તર વધારો થતો આવ્યો છે. 1985ની ચૂંટણીમાં કોંગ્રેસે રેકોર્ડ કર્યો હવા છતાં પણ ભાજપની બેઠકોમાં બે બેઠકનો વધારો નોંધાયો હતો. ભાજપના 124 ઉમેદવારોમાંથી 11 ઉમેદવારો વિજયી થયાં હતા. 1990માં 143 ઉમેદવારોમાંથી 67 ઉમેદવારો ચૂંટાયા હતા અને 1995થી તો ભાજપે પાછું વળીને જોયું નથી. 1995માં તેણે 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા, જેમાંથી 121 ઉમેદવારો સાથે તેણે બહુમત મેળવી અને વર્ષો પછી ગુજરાતમાં કોંગ્રેસની ભાજપની સત્તા રચાઇ. જો કે વિખવાદ બાદ 1998માં ફરીથી ચૂંટણી થઇ તેમાં પણ ભાજપે ગુજરાતીઓનું દીલ જીત્યું અને 117 બેઠક પર તે વિજયી થયું.
2001માં આવેલા ભૂકંપ બાદ સત્તા પર રહેલા કેશુભાઇ પટેલનો વિરોધ થયો, મોદી મુખ્ય પ્રધાન બન્યા, 2002માં રમખાણો થયા. બધાને એમ હતું કે 2002માં ભાજપની સરકાર નહીં આવે પરંતુ ફુંકાયેલા હિન્દુત્વના વાવાઝોડાએ ભાજપને ફરીથી સત્તા લાવી દીધું આ વખતે તેણે 127 બેઠક મળવી હતી. 2007માં પણ મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે ચૂંટણી લડી જો કે, 2002ની સરખામણીએ ભાજપને 10 બેઠક ઓછી મળી અને ભાજપ બહુમત મેળવતા 117 બેઠક મેળવી. હિન્દુત્વમાંથી વિકાસના પથ પર વળેલા ભાજપે ગુજરાતમાં થયેલા વિકાસને ચૂંટણી પ્રચારમાં રજૂ કરવામાં તમામ પ્રયોગો અપનાવી લીધા છે. તેમને પૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતમાં તેમની જ સત્તા રચાશે પરંતુ આ વખતે તેમનો ઉદ્દેશ્ય ગુજરાતમાં સત્તાની સાથો-સાથ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનો પણ રહેશે અને એ પણ 149 કરતા વધારે બેઠક પર વિજેતા બનીને.
1985ની ચૂંટણી પર એક નજર
1985માં ગુજરાતની ચૂંટણીમાં ઇંદિરા ગાંધીની હત્યાનો પ્રભાવ જોરદાર રહ્યો. ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસે મતદારોની અદભૂત સહાનુભૂતિ મેળવી અને ઇતિહાસ સર્જતા 149 બેઠક પર વિજયનો પંજો લગાવ્યો હતો. એ સમયે મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના ઉમેદવાર માધવસિંહ સોલંકી હતા. માધવસિંહ સોલંકીએ આ ઇતિહાસ રચી ગુજરાતના રાજકારણમાં એક અલગ જ વાયરો ફુંક્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસને 149, ભાજપને 11, જેએનપીને 14 અને અન્યોને 8 બેઠક મળી હતી.