ભાજપ ભ્રામક પ્રચાર કરી પ્રજાને ઊંધાં ચશ્માં પહેરાવે છે: કોંગ્રેસ
સુરેન્દ્રનગર શહેરમાં માઇમંદિર સામે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે સુરેન્દ્રનગર ખાસ આવેલા આંધ્રપ્રદેશના રાજ્યસભાના સભ્ય આનંદ ભાસ્કરે જણાવ્યું કે, ગુજરાતમાં માત્ર ભ્રામક પ્રચાર કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે અને ખોટી રીતે કેન્દ્ર સરકારનો અપ્રચાર કરે છે. પરંતુ હવે પ્રજા બધુ જાણી ગઇ છે.
જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હિમાંશુભાઈ વ્યાસે જણાવ્યું કે, હું ગત વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા છતાં પ્રજાનું ઋણ ચૂકવવા માટે પ્રજાની વચ્ચે રહ્યો છું. વઢવાણ તાલુકા અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં ભાજપે ફેલાવેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવો જરૂરી બની ગયો છે. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ચેતનભાઇ રાવલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભલજીભાઇ સોલંકી, પાલિકા પ્રમુખ પી.ડી.રાઠોડ, ઉપપ્રમુખ જશુભા ઝાલા,શહેર કોંગ્રેસ પ્રમુખ છનાલાલ બજવાણીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વઢવાણ વિધાનસભાનું કોંગ્રેસ પક્ષનું મધ્યસ્થ કાર્યાલય વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે ગુરૂવારના રોજ સાંજે શરૂ થયું હતું. આ પ્રસંગે વિશાળ જાહેર સભા યોજાઇ હતી. આ જાહેર સભામાં ભાજપ પક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર હિમાંશુભાઇ વ્યાસ, આંધ્રપ્રદેશથી રાજયસભાના સાંસદ આનંદ ભાસ્કર, એપીએમસીના ચેરમેન રામજીભાઇ ગોહિલ, વઢવાણ શહેર પ્રમુખ ગિરીરાજસિંહ ઝાલા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સુબોધભાઇ જોશી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.