પાંચ વર્ષ સુધી મન કી બાત સંભળાવનારા હવે લોકોની વાત સાંભળશે?
પાંચ વર્ષ સુધી મન કી બાત સંભળાવનારા હવે લોકોની વાત સાંભળશે?
લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ ભાજપને લોકોની વધારે યાદ આવતી હોય તેવું લાગી રહ્યુ છે. બજેટમાં મધ્યમ અને ગરીબ વર્ગ માટે બખ્ખાં કરનારી યોજનાઓ આપ્યા બાદ હવે લોકોને સાંભળવા અને તેમના મંતવ્યો આગામી ચૂંટણી ઢંઢેરામાં સમાવવાની ભાજપ શરૂઆત કરી છે. ભાજપે એક કાર્યક્રમ દ્વારા તમામ લોકસભા બેઠકો પર ભારત કે મન કી બાત મોદી કે સાથ કાર્યક્રમ શરૂ કર્યો છે.
ભાજપે મન કી બાત મોદી કે સાથ કાર્યક્રમ શરૂ કર્યો
ગુજરાતમાં ભાજપ દ્વારા ‘મન કી બાત મોદી કે સાથ' રથનું CM વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા પ્રસ્થાન કરાયુ હતું. રાજ્યની 26 લોકસભા બેઠક મુજબ આ રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે. સાથે જ આ રથમાં ભાજપના સંકલ્પ પત્રને લઈને સૂચન પેટી પણ મુકાશે. જેમાં દરેક વ્યક્તિ મેનિફેસ્ટો અંગે પોતાનું સૂચન આપી શકશે. જે રથ એક મહિના સુધી સમગ્ર રાજ્યમાં ફરીને વિવિધ માધ્યમથી લોકોને જોડવા અને લોકોના મંતવ્યો મેળવવા પ્રયાસ કરશે.
લોકોના મનની વાતો હશે મેનિફેસ્ટોમાં !!
"ભારત કે મન કી બાત" અંતર્ગત લોકો પોતાના વિચારો અને સૂચનો અલગ અલગ માધ્યમો દ્વારા રજૂ કરી શકશે. મીસકોલ 6357 17 17 17, વેબસાઈટ www.bharatkemannkibaat.com પર, વિડીયો રથ તેમજ સૂચન પેટીઓ દ્વારા ગુજરાતની જનતા 2019 લોકસભાના ભાજપના સંકલ્પ પત્ર માટે સૂચનો આપી શકશે.
વિપક્ષ પણ મહેનતમાં લાગી ગયો છે
લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ભાજપ પણ ચૂંટણીને લઈને કોઈ પણ પ્રકારની કચાસ રાખવા નથી માગતું. આગામી ચૂંટણીમાં પણ તમામ બેઠકો પર જીત હાંસલ કરવા માટે બીજેપી મહેનત કરી રહી છે. આ માટે બીજેપીએ જોડ-તોડની રાજનીતિ પણ શરૂ કરી દીધી છે. વિપક્ષ પણ લોકસભાની ચૂંટણીમાં બીજેપીના ગઢમાં ગાબડું પાડવા માટે મહેનત કરી રહ્યો છે.
મોદીએ પાંચ વર્ષ સંભળાવી મનની વાત
ભાજપને કેન્દ્રમાં સત્તા મળ્યાને પાંચ વર્ષનો સમય પુર્ણ થવા આવ્યો છે. 2019ના મે મહિનામાં લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે, સતત પાંચ વર્ષ સુધી લોકોને પોતાના મનની વાત સંભળાવનારા વડાપ્રધાન હવે લોકોની વાત સાંભળશે ખરા ? આ સવાલ દરેક નાગરિકને થવો સ્વભાવિક છે. જે વડાપ્રધાને પોતાના દરેક વાયદામાં પીછેહઠ કરવી પડી છે. તે હવે લોકોના સવાલો કે સાંભળશે? લોકો ફરીથી નવા વાયદાઓ પર કેટલો વિશ્વાસ કરશે તે ચૂંટણી વખતે જ ખબર પડી શકે.
26 બેઠક મેળવી શકશે ભાજપ ?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માંડ માંડ જિતી શક્યો છે. ભાજપ ડબલ ડિઝીટ પણ પાર કરી શક્યો નહોતો. ત્યારે, આ વખતે 2014ની લોકસભા ચૂંટણીની માફક તમામ 26 બેઠક મેળવવી કઠીન છે. ત્યારે, ભાજપ એક યા બીજા પ્રકારે મતદારોને અને મતદારો પર પકડ ધરાવતાં વિપક્ષના નેતાઓને તોડવાની તમામ કોશીશમાં લાગી ગયુ છે.