ભૂપેન્દ્ર પટેલ સાથે ભાજપ કાર્યકરોએ ડ્રૅગન ફ્રૂટના નામે 'છેતરપિંડી' કરી? TOP NEWS
ભૂપેન્દ્ર પટેલ સાથે ભાજપ કાર્યકરોએ ડ્રૅગન ફ્રૂટના નામે 'છેતરપિંડી' કરી? TOP NEWS
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે કચ્છ પહોંચ્યા હતા, જ્યાં ડ્રૅગન ફ્રૂટથી તેમની તુલા કરવામાં આવી હતી, પરંતુ જ્યારે વિતરણ કરવાનો સમય આવ્યો, ત્યારે 'ઠગાઈ' થઈ હોવાનું બહાર આવ્યું હતું.
'આજતક' લખે છે, કચ્છની મુલાકાત દરમિયાન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
જ્યાં તેમને ડ્રૅગન ફ્રૂટથી તોળવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે વિતરણ કરવામાં આવ્યું તો માલૂમ પડ્યું કે માત્ર એક જ બૉક્સમાં વિલાયતી ફળ હતાં તથા અન્ય તમામ બૉક્સમાં કેળાં હતાં.
સોશિયલ મીડિયા પર બૉક્સમાં ડ્રૅગન ફ્રૂટની જગ્યાએ કેળાનાં વીડિયો તથા તસવીરો વાઇરલ થયાં હતાં.
https://twitter.com/jayrajkuvar/status/1458819516809375754
ચેનલ નોંધે છે કે ભાજપનો ઔપચારિક કાર્યક્રમ હતો, જેમાં સુરક્ષા પર તો ધ્યાન આપવામાં આવ્યું, પરંતુ બૉક્સમાં શું છે, તે મૂળભૂત બાબત પર કોઈએ ધ્યાન નહોતું આપ્યું, જેના કારણે આ બાબત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી.
ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ડ્રૅગન ફ્રૂટને 'કમલમ્' એવું નામ આપવાની જાહેરાત કરી હતી, કારણ કે તેમના મતે વિદેશી ફ્રૂટનો આકાર કમળ જેવો છે, જે તેમની પાર્ટીનું ચૂંટણીચિહ્ન છે.
ભારતીય સેના વિ. વિદેશ મંત્રાલય
https://www.youtube.com/watch?v=gx2VByP-Vk0
'હિંદુસ્તાન ટાઇમ્સ' લખે છે, ગુરુવારે ભારતીય સેનાના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે એક મીડિયા સમારંભમાં કહ્યું હતું કે ચીન દ્વારા ભારતીય સીમામાં ગામડાનું નિર્માણ કરવામાં આવ્યું છે, તે અહેવાલ ખોટા છે અને ચીન દ્વારા તેમના કબજા હેઠળના હદવિસ્તારમાં જ ગામનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જનરલ રાવતે સ્વીકાર્યું હતું કે આ ગામડામાં જે મકાનો બાંધવામાં આવી રહ્યાં છે, તેનો ઉપયોગ નાગરિક તથા સૈન્ય હેતુઓથી સર થઈ શકે છે.
જોકે તેમનું આ નિવેદન ભારતીય વિદેશ મંત્રાલયના ગુરુવારે જ અપાયેલા સત્તાવાર નિવેદન કરતાં વિપરીત અને વિરોધાભાસી હતું.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તેમની સાપ્તાહિક સત્તાવાર પત્રકારપરિષદમાં કહ્યું હતું કે 'ભારતની ધરતી પર ચીનના ગેરકાયદેસર કબજાને તથા ચીનના ગેરવાજબી દાવાને ભારત સ્વીકારતું નથી.'
'કોવૅક્સિન 78 ટકા અસરકારક'
સાયન્સ જનરલ 'લાન્સૅન્ટ'ના અભ્યાસ પ્રમાણે, ભારતીય કંપની દ્વારા વિકસાવવામાં આવેલી સ્વદેશી રસી કોવૅક્સિન કોવિડ-19નાં દેખિતાં લક્ષણો સામે 77.8 ટકા અસરકારક છે.
'ઇકૉનૉમિક ટાઇમ્સ' દ્વારા આ અહેવાલ છાપવામાં આવ્યો છે. જે મુજબ કોવૅક્સિનનો બીજો ડોઝ અપાય તેનાં બે અઠવાડિયાં પછી વ્યાપક રોગપ્રતિકારક શક્તિ વિકસતી જોવા મળે છે.
નવેમ્બર-2020થી મે-21 દરમિયાન 18થી 97 વર્ષના 24 હજાર કરતાં વધુ લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં મૃત્યુ કે અન્ય કોઈ ગંભીર આડઅસર જોવા મળી નહોતી.
ફેસબુક, ઉશ્કેરણીજનક સામગ્રી અને ખર્ચકપાત
ફેસબુકના આંતરિક દસ્તાવેજોની સમીક્ષા કરવાના દાવા સાથે 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'એ કંપનીની કાર્યપદ્ધતિ પર અહેવાલ પ્રકાશિત કર્યો છે.
તેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની મોટા ભાગની બજારોમાં ધિક્કાર તથા ઉશ્કેરણી ફેલાવતી સામગ્રીમાં વૃદ્ધિ નોંધાઈ રહી હતી, એવા સમયે કંપની દ્વારા ખર્ચકપાત કરવામાં આવ્યો છે.
આને કારણે વાંધાજનક સામગ્રીની સમીક્ષા કરતી ટીમની કાર્યક્ષમતા પર ભારે અસર પહોંચી હતી.
ખર્ચ ઘટાડવા માટે યૂઝર દ્વારા જણાવવામાં આવેલી વાંધાજનક સામગ્રીની ઓછા પ્રમાણમાં સમીક્ષા કરવી, મશીન દ્વારા ધ્યાનમાં આવેલી વાંધાજનક સામગ્રીની સમીક્ષા ઘટાડવી તથા અપીલની સમીક્ષા પણ ઘટાડી દેવામાં આવી હતી.
જુલાઈ 2020ના સોશિયલ મીડિયા જાયન્ટના આંતરિક રિપોર્ટ પ્રમાણે, એ પહેલાંના 18 મહિના દરમિયાન ભારતમાં મુસ્લિમવિરોધી સામગ્રીમાં વધારો નોંધાયો હતો.
તામિલનાડુમાં વરસાદ, 14નાં મૃત્યુ
https://www.youtube.com/watch?v=qplNOAfsGOM
'ધ હિંદુ' અખબાર નોંધે છે તામિલનાડુમાં ભારે વરસાદને કારણે 14 લોકોનાં મૃત્યુ થયાં છે.
રાજ્યમાં લગભગ 12 હજાર કરતાં વધુ લોકોને રાહતછાવણીઓમાં આશ્રય આપવામાં આવ્યો છે. ચેન્નાઈમાં પણ 2200 કરતાં વધુ લોકો રાહતછાવણીઓમાં આશ્રય લઈ રહ્યા છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ તથા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ દ્વારા ચેન્નાઈ ઉપરાંત કાંચીપુરમ્, તિરુવેલ્લુર અને મદુરાઈ સહિતના અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત તથા બચાવકામગીરી હાથ ધરવામાં આવી છે.
જોકે આ દરમિયાન શુક્રવાર સવારથી નાગરિકોને વરસાદમાં રાહત મળી છે.
હવામાન ખાતા દ્વારા ચેન્નાઈ તથા આજુબાજુના વિસ્તારોમાંથી રેડ ઍલર્ટ પાછું ખેંચી લેવામાં આવ્યું છે, પરંતુ ભારે પવન તથા છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો