ગણતંત્ર દિવસ પૂર્વે અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ એક્શનમાં
અમદાવાદ અને ગાંધીનગરની અનેક જાણીતી શાળાઓને ગણતંત્ર દિવસની ઉજવણી પહેલા બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઇમેઇલ મળતા સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ધમકી મળતા જ સુરક્ષાના કારણોસર શાળાઓમાં તાત્કાલિક રજા જાહેર કરી દેવામાં આવી હતી, જેના લીધે મોટી સંખ્યામાં ચિંતાતુર વાલીઓ પોતાના બાળકોને લેવા શાળાએ દોડી આવ્યા હતા.
ઇમેઇલમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે ૨૬ જાન્યુઆરીના રોજ શાળાઓમાં ભારતીય તિરંગો ફરકાવવો નહીં, જેને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તરત જ એક્શન મોડમાં આવી ગઈ હતી.
અમદાવાદની સંત કબીર, મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ અને આર્મી સ્કૂલ સહિત ૧૦થી વધુ શાળાઓને નિશાન બનાવી ઇમેઇલ મોકલવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ ધમકીભર્યા મેઈલમાં ખાલિસ્તાન સમર્થિત વાતો અને દેશના ટોચના નેતાઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક લખાણ લખવામાં આવ્યું હતું, જેની અત્યારે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
ગાંધીનગરની રાંચરડા સ્થિત સ્કૂલ સહિત અન્ય વિસ્તારોમાં પણ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, જોકે તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત હોવાની પુષ્ટિ થતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ૨૬ જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.












Click it and Unblock the Notifications
