વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂ. ૧૨૯.૫૩.કરોડ નાં ખર્ચે તૈયાર થયેલ બ્રીજનું લોકાર્પણ
ભારતના લોકોનાં "ઇઝ ઓફ લિવિંગ" માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશ હેઠળ ટેક્નોલોજીનો મહત્તમ લાભ ઉઠાવી નાગરિકોને જરૂરી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે ત્યારે ગુજરાતના નાગરિકોની સુખાકારીના કામોને વધુ વેગવંતા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પરિણામલક્ષી કામગીરી કરી રહી છે.

રાજકોટ શહેર દિનપ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે તહેવારોની મોસમમાં રાજકોટવાસીઓનાં "ઇઝ ઓફ લિવિંગ"માં વધારો કરવા અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ અર્પિત કરવા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટના આંગણે તા.૨૭ જુલાઈના રોજ પધારી રહ્યા છે. જેમાં રાજકોટમાં ટ્રાફિકનું યોગ્ય નિયમન કરી શકાય તે માટે વિકાસના રાજમાર્ગ સમા કાલાવડ રોડ ઉપર અંદાજીત રૂ.૧૨૯.૫૩.કરોડ ના ખર્ચે નિર્માણ પામેલા શહેરનાં પ્રથમ મલ્ટીલેવલ સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે.
આ ફલાયઓવર બ્રિજની વિશેષતા એ છે કે, હયાત બ્રીજ ઉપર નવો બ્રીજ બનાવાયો છે. કે.કે.વી. ચોક પર ચીમનભાઈ શુક્લ ઓવરબ્રિજ પહેલાથી જ આવેલો હતો, ભવિષ્યમાં થનારી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બી.આર.ટી.એસ.બ્લુ કોરિડોર પર કે.કે.વી ચોક પર આવેલ બ્રિજ ઉપર નિષ્ણાંતોના અભિપ્રાય મેળવી મલ્ટી લેવલ ફલાયઓવર બ્રિજ બનાવવવાની ડીઝાઇન તૈયાર કરવામાં આવી હતી. જે અંતર્ગત ઇ ટેન્ડર પ્રસિદ્ધ કરી સ્પર્ધાત્મક ઓફર મંગાવવામાં આવી હતી. જેમાં રણજિત બિલ્ડકોન લી. નામની કંપની સાથે સ્થાયી સમિતિની મંજૂરી મેળવી કરાર કરવામાં આવ્યો અને તા.૨૧.૦૧.૨૦૨૧ થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો.
કે.કે.વી. ચોકમાં મધ્યમાંથી ૧૫ મીટરની બ્રિજની કુલ ઉંચાઈ છે એટલે કે, જમીનથી આ બ્રિજનો સેન્ટ્રલ સ્પાન ૫૦ ફુટ ઉંચો છે. સેન્ટર સ્પાનમાં ૪૫ મીટરનો સ્ટીલ ગર્ડર ઉભો કરવામાં આવ્યો છે. ફ્લાયઓવર બ્રિજની બંને બાજુ ૫.૫૦ મી.થી ૮.૫૦ મી.નો સર્વિસ રોડ, બ્રિજની નીચે ૭૫૦૦ ચો.મી.નું પાર્કિંગ, પેડેસ્ટ્રિયન માટે ફૂટપાથની વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વૉટર લાઈન તથા સર્વિસ યુટિલીટી ડક્ટ એ બ્રીજની મુખ્ય વિશેષતાઓ છે.
રાજકોટના હાર્દ સમા શહેરનાં કાલાવડ રોડના કે.કે.વી. ચોક પર ૪ લેન (ર લેન + ૨ લેન) મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજ ૧૧૫૨.૬૭ મી. લંબાઇ, ૧૫.૫૦ મી. પહોળાઈ તથા ૧૫ મી. ઊંચાઈએ નિર્માણ પામ્યો છે. કાલાવડ રોડ તરફ બ્રિજની લંબાઈ ૬૯૦ મીટર અને કોટેચા ચોક તરફ ૪૧૭ મીટર છે. કાલાવડ રોડ ઉપર પ્રિન્સેસ સ્કૂલથી ફલાયઓવર શરૂ થશે, જે કે.કે.વી. ચોકના હયાત ફલાયઓવરની ઉપરથી પસાર થશે અને રાજકોટ મહાનગરપાલિકાના સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પુલ પાસે વિરામ પામશે. મહિલા કોલેજ અંડરબ્રિજથી સીધા કાલાવડ રોડ સ્વિમિંગ પુલ સુધી જવા માગતા વાહનો ટ્રાફિકની સમસ્યા નડશે નહીં પરિણામે સમય, શક્તિ, ઈંધણ અને નાણાંનો બચાવ થશે. નવનિર્મિત બ્રિજ પરથી ઉતર્યા બાદ મોટામૌવા, મેટોડા તરફ જવા માંગતા વાહન ચાલકોને સીધો જડ્ડુસ રેસ્ટોરન્ટ ચોક બ્રિજ કનેકટ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પિત થનાર આ પુલથી અંદાજિત બે લાખ જેટલા નાગરિકોને સરળતાથી પરિવહનનો લાભ મળશે.












Click it and Unblock the Notifications
