બજેટ 2014 : મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સરદાર પટેલની પ્રતિમા માટે રૂપિયા 200 કરોડની દરખાસ્ત
નવી દિલ્હી, 10 જુલાઇ : આ વર્ષે મોદી બજેટ તરીકે લોકપ્રિય બનેલા બજેટ 2014ની દરખાસ્તો રજૂ કરતા સમયે નાણા પ્રધાન અરૂણ જેટલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા ગુજરાતમાં આવેલા નર્મદા ડેમમાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાના પ્રોજેક્ટ માટે રૂપિયા 200 કરોડની ફાળવણીની દરખાસ્ત મૂકી છે. આ કારણે પ્રોજેક્ટના કાર્યને ગતિ મળશે.
નોંધનીય છે કે ગુજરાત સરકારના દાવા અનુસાર આ સ્ટેચ્યુ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનશે. તેના નિર્માણ પાછળ અંદાજે 2500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ રકમ રાજ્ય સરકાર અને જાહેર દાનની રકમમાંથી મેળવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2013-14માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આ પ્રતિમાના નિર્માણ માટે સમગ્ર દેશમાંથી રોકડ દાન પ્રાપ્તિ અને ખેડૂતો પાસેથી લોખંડની પ્રાપ્તિનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ વખતે બજેટની દરખાસ્તોમાં નાણા પ્રધાન અરૂણ જેટલીએ પ્રોજેક્ટ માટે ફંડ ફાળવણીની દરખાસ્ત પણ મૂકતા હવે પ્રથમવાર પ્રોજેક્ટને કેન્દ્ર સરકારનું ભંડોળ પણ પ્રાપ્ત થયું છે.
આ પ્રોજેક્ટની જાહેરાત થતા જ કોંગ્રેસ પાર્ટીના પેટમાં તેલ રેડાયું હતું. કારણ કે સરદાર પટેલ કોંગ્રેસના નેતા હતા. ઉપરાંત તે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના શાસનમાં ઉપ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન હતા.
નોંધનીય છે કે સરદાર પટેલની પ્રતિમા નર્મદા નદી પર બનવાની છે. તે સ્ટોચ્યુ ઓફ લિબર્ટીની સરખામણીમાં બમણી ઊંચાઇ ધરાવતી હશે. આ પ્રતિમાની આલોચના પણ કરવામાં આવી છે કે જે દેશમાં 1.2 બિલિયન લોકો ગરીબીમાં જીવતા હોય ત્યારે આવી પ્રતિમા પાછળ રૂપિયા 2500 કરોડનો ખર્ચ કરવો નાણા વેડફવા સમાન છે.
નરેન્દ્ર મોદીએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે જો સરદાર પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન હોત તો દેશની સ્થિતિ અલગ હોત.