સરકાર ડિસ્કોમના રાહત પેકેજ ઇન્ટરલિંક કરે : CERC
સીઈઆરસીએ ભારત સરકારના ઉર્જા પ્રધાન શ્રી વિરપ્પા મોઈલીને સંબોધીને લખેલા એક પત્રમાં ડિસ્કોમ્સની નબળી કામગીરી બાબતે કેટલાંક ચિંતા ઉપજાવે તેવાં પરિબળનો ઉલ્લેખ કરી જણાવ્યું છે કે ખેતીને મફત અથવા ભારે સબસીડીથી વીજળી, વીજળીની વ્યાપક પ્રમાણમાં ચોરી, ગ્રાહકોના સંકુલમાં બંધ મીટરો, વીજ વિતરણ કંપનીઓમાં વ્યાપેલા ભારે ભ્રષ્ટાચાર, રાજાધ્યક્ષ સમિતીએ ભલામણ કરેલા ૧૪ ટકાના બદલે ૨૪.૧૨ ટકાનો ટ્રાન્સમિશન અને ડિસ્ટિ્રબ્યુશન લોસ તથા સ્ટેટ ઈલેકટિ્રસિટી રેગ્યુલેટરી કમિશન્સ (SERCs)ની કામગીરીમાં રાજય સરકારોના હસ્તક્ષેપને કારણે વીજળીના દરમાં વધારો કરી શકાતો નથી.
સીઈઆરસીના ચીફ જનરલ મેનેજર (માનદ) કે. કે. બજાજે લખેલા આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભારે ખોટ કરતાં ડિસ્કોમ્સ, ખાનગી કંપનીઓને ડિસ્કોમ ફ્રેન્ચાઈઝી તરીકે સોંપી દેવાં જોઈએ. સરકારે તાજેતરમાં મંજૂર કરેલા રૂ. ૧.૯ લાખ કરોડના પેકેજને કારણે ભારતના લોકો પર વધારાનો બોજ પડશે અને આખરે તે કરદાતાઓનાં નાણાંથી જ સરભર કરવામાં આવશે.
વધુમાં પત્રમાં સૂચન કરવામાં આવ્યું છે કે "સેન્ટ્રલ ઈલેક્ટિ્રસિટી ઓથોરિટીએ ડિસ્કોમ્સની કામગીરીનું મોનીટરીંગ કરવું જોઈએ જો દર વર્ષે ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થાય નહીં તો, ડિસ્કોમ નિશ્ચિત લક્ષ્યાંક હાંસલ કરે ત્યાં સુધી પેકેજની રકમ આપવાનું બંધ કરવું જોઈએ. દેવામાંથી બહાર નીકળવા માટે અપાતાં પેકેજને વીજ વિતરણ કંપનીઓની કામગીરી (પર્ફોર્મન્સ) સાથે સાંકળવાં જોઈએ."
સીઈઆરસીએ સ્ટેટ ઈલેક્ટિ્રસિટી રિસ્પોન્સિબીલીટી બિલ સંબંધના સૂચનોમાં દર વર્ષે વિતરણ ખોટ (ડીસ્ટ્રીબ્યુશન લોસ)માં ઓછામાં ઓછો ૨ ટકાનો ઘટાડો કરવો. કૃષિ ક્ષેત્ર સહિત તમામ (૧૦૦ ટકા) ગ્રાહકોને ત્યાં મીટર મુકવાં, કૃષિ ક્ષેત્ર માટે ઓછામાં ઓછો યુનિટ દીઠ રૂ. ૧.૫૦ નો દર રાખવો. આવક પ્રાપ્તિ તથા વીજળીનો પુરવઠો આપવામાં થતા ખર્ચ વચ્ચેનો તફાવત ઘટાડવો, સ્ટેટ ઈલેક્ટિ્રસિટી રેગ્યુલેટરી કમિશનના નિર્દેશ મુજબ વીજળીની ખરીદી ગુણવત્તાના ક્રમ (merit order) મુજબ કરવી, બિલિંગ અને નાણાં એકત્ર કરવામાં ૯૯ ટકા કાર્યક્ષમતા, રાજયની વીજ વિતરણ કંપનીઓને સસ્તી વીજળી આપી શકાય તે માટે રાજયની વીજ ઉત્પાદન કંપનીઓનો પ્લાન્ટ લોડ ફેકટર ૮૦ ટકાથી વધુ રાખવો અને ગ્રાહકોનાં હિતોના રક્ષણ માટે ગ્રાહક સંસ્થાઓ સાથે સતત પરામર્શ કરવાનો સમાવેશ થાય છે.
પત્રમાં સ્ટેટ ઈલેક્ટિ્રસિટી કંપનીઓની નબળી હાલત અંગે પણ ચિંતા વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું છે કે " ઈલેક્ટિ્રસિટી એકટ -૨૦૦૩ અમલમાં આવ્યો તે પછી એકંદર ખોટ વધીને રૂપિયા બે લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. ૧લી એપ્રિલ ૨૦૦૫ થી લાગુ પડે તે રીતે કેટલાંકને બાદ કરતાં, રાજયોનાં તમામ વીજળી બોર્ડને સ્વતંત્ર કરાયાં છે. ગુજરાત અને આંધ્ર પ્રદેશ જેવાં રાજયોએ સંચાલનની બહેતર કાર્યક્ષમતા દર્શાવીને તેમની નાણાંકિય સ્થિતિમાં સુધારો કર્યો છે."