મુખ્ય સચીવ પંકજકુમારે અંબાજી મંદિરની મુલાકાત કરી સમીક્ષા બેઠક યોજી!
રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે અંબાજીની એક દિવસની મુલાકાત લઈને વિકાસકાર્યોની જાત મુલાકાત લીધી હતી.
રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે અંબાજીની એક દિવસની મુલાકાત લઈને વિકાસકાર્યોની જાત મુલાકાત લીધી હતી. મુખ્ય સચિવ પંકજ કુમારે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે અંબાજી ગબ્બર ખાતે આવેલ 51 શક્તિપીઠની પરિક્રમા કરીને અંબાજીના વિકાસ અંગેની વિગતો મેળવી હતી. તેલીયા નદી પર આવેલ પુલ અને રીંછડીયા ડેમની મુલાકાત લઈ જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ચેક ડેમો બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. કુંભારિયા જૈન દેરાસર અને અંબાજી નજીક આવેલ આરસની ખાણોની મુલાકાત લીધી હતી. અંબાજીને જોડતા રસ્તાની બંન્ને બાજુ પ્લાન્ટેશન કરવા અધિકારીઓને સુસના આપી હતી.
મુખ્ય સચિવે સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લઈ તાજેતરમાં યોજાયેલ શિલ્પોત્સવ તથા SAPTIની પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી. કુંભારિયા ખાતે નિર્માણ પામેલ રહેલ વિચરતી- વિમુક્ત જાતિની વસાહતની મુલાકાત અને દિવાળીબા ભવન ખાતે નિર્માણ પામનાર પીપીપી મોડેલ આધારિત નવા ભવનની જગ્યાની મુલાકાત લીધી હતી.
અંબાજી સર્કિટ હાઉસ ખાતે અંબાજીના વિકાસ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને યાત્રાધામ અંબાજીને ટુરીઝમ હબ તરીકે વિકસે તેમજ શક્તિપીઠ પરિક્રમા દેશ અને દુનિયાના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું. બેઠકમાં પ્રવાસન વિભાગના સચિવ હારીત શુક્લાએ અંબાજીના વિકાસ અંગે વિવિધ વિભાગોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું.