નાનીધારીમાં બળાત્કાર બાદ ધિંગાણુઃ એકનું મોત, પાંચના કપાયા હાથ
બનાવની વિગત કંઇક એવી છે કે, બળાત્કારનો ભોગ બનેલી મૃતક યુવતીની સ્મશાનયાત્રા દરમિયાન બ્રહ્મસમાજના અગ્રહણીઓ, કાર્યકરો અને યુવાનો તેમજ કાઠી સમાજ વચ્ચે વિખવાદ થયો હતો અને પોલીસની હાજરીમાં જ કાઠી સમાજ ભુદેવો પર તૂટી પડ્યો હતો, કાઠી યુવક અને તેના પિતાએ તલવાર અને ધારિયા વડે હુમલો કરતા બ્રાહ્મણોના ટોળામાંથી 8 યુવાનોને ઇજા પહોંચી હતી. જેમાં ઇજાગ્રસ્ત એક વ્યક્તિ સારવાર દરમિયાન મૃત્યુ પામતા બનાવ હત્યામાં પલટાયો હતો.
સ્મશાનયાત્રામાં થયેલા ઘર્ષણ બાદ આરોપીના મકાન પર પથ્થરમારો અને બાઇક સળગાવીને બ્રાહ્મણોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, એટલું જ નહીં પરંતુ વનરાજ મંગળુભાઇ વાળા ઉપર તલવાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી છે. સ્મશાનયાત્રા વખતે થયેલી અથડામણમાં ઇજાગ્રસ્થ થયેલા ભાસ્કરભાઇ હરીભાઇ શુક્લનું મૃત્યુ નીપજતાં પોલીસે હુમલાખોરો સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. બનાવ પગલે પોલીસે બન્ને પક્ષના 17 લોકોની અટકાયત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાનીધારી ગામે 27 જુલાઇના રોજ રાત્રે પાણી પીવાના બહાને ઘરમા ઘૂસી ગયેલા સંજય વાળા સહિત બે નરાધમોએ સગાભાઇની હાજરીમાં 23 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને જંતુનાશક દવા પીવડાવી ગળેફાંસા આપી હત્યા કરી હતી. આ બનાવમાં પોલીસે આરોપી સંજય વાળા સહિત બે શખ્સોની ધરપકડ કરી લીધી છે.