CM ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યમાં બાળકોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો, કામગીરીનુ કર્યુ નિરીક્ષણ
રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે સવારે 7.30 વાગે રાજ્યવ્યાપી રસીકરણનો પ્રારંભ કરાવ્યો છે.
ગાંધીનગરઃ દેશભરમાં આજથી એટલે કે 3 જાન્યુઆરથી 15થી 18 વર્ષના બાળકોનુ કોરોના રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યુ છે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે સવારે 7.30 વાગે રાજ્યવ્યાપી રસીકરણનો પ્રારંભ કરાવ્યો છે. ગાંધીનગર પાસે કોબા નજીક આવેલી જીડીએમ કોબાવાલા હાઈસ્કૂલ થી રાજ્યવ્યાપી રસીકરણની શરુઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15થી 18 વર્ષના બાળકોને કોરોના રસી આપવાના અભિયાનને પ્રારંભ કરાવ્યો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે શાળાએ પહોંચીને રસીકરણની કામગીરીનુ નિરીક્ષણ કર્યુ હતુ અને બાળકો સાથે વાતચીત પણ કરી હતી. આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય શંભૂજી, આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે અને મ્યુનિસિપલ કમિશ્નર ધવલ પટેલ અને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે સમગ્ર રાજ્યમાં અંદાજે 35 લાખથી વધુ બાળકોને રસી આપવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલી 73 શાળાઓના લગભગ 20 હજાર બાળકો માટે આરોગ્યકર્મીઓની 50 ટીમ કાર્યરત રહેશે. અભિયાનમાં પહેલા દિવસે જ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની 13 શાળાઓના પાંચ હજાર બાળકોને વેક્સીન ડોઝ આપવાનુ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગનુ આયોજન છે.
રસીકરણ માટે બાળકોને અમુક મહત્વની સૂચનાઓ પણ આપવામાં આવી છે જેમકે રસી લેવા આવતા બાળકોએ નાસ્તો કરીને કે જમીને આવવુ. વિદ્યાર્થીઓએ આધાર કાર્ડ પણ સાથે રાખવુ. સ્કૂલમાં રસીકરણનો સમય સવારે 9થી 4 વાગ્યા સુધીનો રહેશે. વિદ્યાર્થીઓએ શક્ય હોય ત્યાં સુધી વાલીઓ સાથે આવવુ. એલર્જી કે બિમારી હોય તો આરોગ્ય ટીમને જાણ કરવી.
ઉલ્લેખનીય છે કે 15થી 18 વર્ષના તમામ બાળકોને વેક્સીન આપવા માટે 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન થયુ હતુ. જેમણે રજિસ્ટ્રેશન ન કરાવ્યુ હોય એમનુ ઓન ધ સ્પૉટ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે. શાળાઓ, આઈટીઆઈ, દિવ્યાંગ સંસ્થાઓ, અનાથાશ્રમો અને માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા બાળકોની સંસ્થાઓને પણ આ અભિયાનમાં આવરી લેવામાં આવશે.