CMએ કર્યું પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ, પાલ આંબલીયાએ લગાવ્યા ગંભીર આરોપ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું.
આ મુલાકાત બાદ ખેડૂત નેતા પાલ આંબલીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. ખેડૂત નેતા પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી દ્વારકા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની હવાઇ મુસાફરી કરીને ખેડૂતોની વેદના અને પરિસ્થિતિનો તાગ મેળવવાના છો એ RSPL ઘડી એવી કંપની છે, જેણે ખેડૂતોના ખેતર બીન કાયદેસર રીતે પચાવીને રાખ્યા છે.
ખેડૂત નેતા પાલ આંબલીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ RSPL ઘડીની સામે તમે ત્યાં ફરિયાદ દાખલ કરાવીને જજો.
આ એજ કંપની છે જેણે લાખો કરોડો રૂપિયા પોલ્યુશન બોર્ડના ભ્રષ્ટાચારીઓને આપી બેફામ પ્રદૂષણ કરતા રહ્યા, અને નામદાર હાઇકોર્ટે પ્રદૂષણ બોર્ડને 20 લાખનો દંડ પોલ્યુશન બોર્ડને કરવો પડ્યો છે.
જે બાદ પોલ્યુશન બોર્ડ દ્વારા 1 મહિના માટે RSPL ઘડીને બંધ કરી હતી, એ RSPL ઘડીમાં મુખ્યમંત્રી તમે જઈ રહ્યા છો, તે યાદ રાખજો.
આ એ RSPL ઘડી છે, જ્યા લધુતમ વેતન કામદારોને આપવામાં આવતું નથી. જે કામદારો ઉંચાઇ પરથી પડી જાય છે, કારખાનામાં કામ કરતા અકસ્માતે અપંગ બની જાય છે, તેમને કોઇપણ જાતનું વળતર પણ આપવામાં આવતું નથી.
આ એ RSPL ઘડી છે, જ્યાં સ્થાનિક રોજગારીના નામે ઝિરો નોકરી આપવામાં આવી છે, અને નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે.
તો તમે RSPL ઘડીના માલિકનો કાન પકડી સ્થાનિક રોજગારી અપાવીને જજો. તમે ભ્રષ્ટાચારના અડ્ડા પર ઉભા રહીને પીડિતોની વેદના સમજવા માટે સમિક્ષા બેઠક કરશો, તો એ સમિક્ષા બેઠક કેવી હશે એ શંકા છે.
પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, તમે મને મળવા આવો તો RSPL ઘડીની વાત અને પુર પીડિતોની વાત તમને કરીશ. RSPL ઘડીએ ગામોને જોડતા રાજમાર્ગોને ખોલીને તમે જજો.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટી તંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના સંદર્ભે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થતા મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ખાતે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથેની બેઠકમાં જિલ્લાની વરસાદની સ્થિતિ અને પ્રશાસન દ્વારા લેવાયેલા રાહત બચાવના પગલાનો ચિતાર મેળવીને સ્થળાંતરિત કરાયેલા લોકોને તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કુદરતી આફતોમાં બચાવ અને રાહત સહિતની કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાન માલને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે પ્રશાસન સુસજ્જ છે.
કલેક્ટર જી. ટી. પંડ્યાએ સમગ્ર સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 30 વર્ષનો સરેરાશ વરસાદ 769 મીમી છે, તેની સામે છેલ્લા પાંચ છ દિવસમાં 980 મીમી સરેરાશ વરસાદ એટલે કે 31 ઇંચની સરેરાશ સામે 50 ઇંચ વરસાદ વરસ્યો છે.
સતત વરસાદની સ્થિતિમાં આગોતરા આયોજન અને ત્વરિત પગલાંને કારણે પાણીમાં ફસાયેલા 23 જેટલા લોકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે. અસરગ્રસ્તોના શેલ્ટર હાઉસમાં ભોજન અને આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મુખ્યમંત્રીએ જિલ્લામાં માર્ગ અને પરિવહન સેવા જ્યાં પ્રભાવિત થઈ છે, ત્યાં અગ્રતાના ધોરણે મરામત કામગીરી કરવા જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપી હતી.
મુખ્યમંત્રીની બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, રેન્જ આઇ. જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. ધાનાણી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તેમજ પદાધિકારીઓ, ધારાસભ્ય પબુભા માણેક, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
