ખેલમહાકુંભ 2012: મોદીએ કહ્યું 'રમશે ગુજરાત, જીતશે ગુજરાત'
ગાંધીનગર, 31 ડિસેમ્બર: મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ ર૦૧ર માટેની મશાલ જ્યોત રેલીનું આજે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવતાં રમતગમતને સ્પર્ધારૂપે નહીં પણ સમસ્ત સમાજજીવનના સહજ હિસ્સા તરીકે વિકસાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આગામી ખેલમહાકુંભ ર૦૧ર-૧૩ની પૂર્વ તૈયારી રૂપે ૧૮ દિવસ સુધી આ મશાલ જ્યોતયાત્રા ગુજરાતભરમાં 'રમશે ગુજરાત, જીતશે ગુજરાત'નો સંદેશ લઇને પરિભ્રમણ કરશે.
આ વર્ષે ર૧ જેટલી રમતો માટે વિક્રમસર્જક ર૧ લાખ ખેલાડીઓએ ભાગ લેવાની નોંધણી કરાવી છે તેનો ઉલ્લેખ ગૌરવભેર કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રમતમાં સ્પર્ધા કે હારજીતનું નહીં પણ ખેલદિલીના તંદુરસ્ત વાતાવરણનું મહત્વ છે અને ખેલમહાકુંભથી ખેલદિલીની પ્રતિષ્ઠા વધશે, ખેલાડીઓની રમતગમત કૌશલ્યની શકિતઓનો આત્મવિશ્વાસ વધશે. મુખ્યમંત્રીએ ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાથી ત્રણેક મહિના રમતગમતના ખેલમહાકુંભની અંતરંગ પૂર્વતૈયારીઓ પછી છેલ્લા એક જ સપ્તાહમાં આટલો વિરાટ રમતોત્સવ યોજવાનું કાર્ય ઉપાડી લેવા માટે સહુ સહયોગીઓને અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીએ યુવકસેવા, રમતગમતો અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગને ભૂતકાળમાં કયારેય આટલું મહત્વ અપાયું નહોતું તેનો નિર્દેશ કરી જણાવ્યું કે હવે આ સરકારે તો નાણાં, ઉદ્યોગ, કૃષિ જેવા મહત્વના વિભાગોની હરોળમાં તેનો મહિમા કર્યો છે કારણ કે રમત ક્ષેત્રે, યુવાશકિત કૌશલ્ય માટે નવી પેઢી અને આગામી પેઢીઓની ખાસ કાળજી આ સરકાર લઇ રહી છે. તેમણે આ સંદર્ભમાં સ્પોર્ટસ પોલીસી રચવાની અને જિલ્લે જિલ્લે સ્પોર્ટસ સ્કુલ શરૂ કરવાની નેમ પણ વ્યક્ત કરી હતી.
નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ શારીરિક ક્ષતિ છતાં અદભૂત શકિ્ત ધરાવતા સ્પેશિયલી એબલ્ડ ચિલ્ડ્રન અને વિકલાંગ ખેલ માટેના ઉત્સાહ ઉમંગને અભૂતપૂર્વ ગણાવ્યો હતો. આ ખેલમહાકુંભના કારણે સમાજનું રમતગમત અને ખેલાડીઓ પ્રત્યે ઉદાસિન નહીં પણ ઉદાર અને પ્રોત્સાહક વલણ સર્જાયું છે એમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ વર્ષ સ્વામિ વિવેકાનંદની ૧પ૦મી જયંતીનું યુવાવર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે તેની રૂપરેખા આપતા જણાવ્યું કે રાજ્યમાં ગ્રામથી જિલ્લા સુધીના ગામડાં અને શહેરોમાં વિવેકાનંદ યુવા કેન્દ્રો શરૂ થઇ ગયા છે અને ખેલમહાકુંભ માટે તે મહત્વના ચાલકબળ બની રહેવાના છે.
ખેલમહાકુંભથી હોનહાર ખેલાડીઓને આત્મવિશ્વાસથી સમગ્રતયા ખેલકૌશલયના વિકાસનું વાતાવરણ સર્જવા અને તંદુરસ્ત ખેલદીલીથી ટીમ સ્પિરીટ સાથે ખેલમહાકુંભમાં ભાગ લેવા તેમણે ઈન્જન આપ્યું હતું.
Video: ગુજરાત નવી રમત નીતિ બનાવશે : નરેન્દ્ર મોદી
યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિ અને રમતગમત મંત્રી રમણભાઇ વોરાએ આ મશાલ મહાપ્રસ્થાનના અવસરે સૌને સ્વાગત પ્રવચનથી આવકાર્યા હતા. રાજ્યની સ્વર્ણિમ જ્યંતિ ઉજવણી વર્ષ ર૦૧૦ થી આરંભાયેલો ખેલમહાકુંભ સતત ત્રીજા વર્ષે દેશના વિરાટ રમતોત્સવ તરીકે ઉજવવાનું ગુજરાતે ગૌરવ મેળવ્યું છે તેનો તેમણે આનંદ વ્યકત કર્યો હતો. ખેલમહાકુંભ ખેલકૂદમાં અભિરૂચી ધરાવનારા આબાલવૃધ્ધ સૌ માટે કૌશલ્યતા નિખારવાનો અને સમૂહભાવના ખિલવવાનો એક અવસર બન્યો છે તેની પ્રતીતિ ર૧ લાખ રમતપ્રેમીઓએ વિવિધ સ્પર્ધાઓ માટે આ વર્ષે નામાંકનથી કરાવી છે તેમ પણ વોરાએ ઉમેર્યું હતું.
ખેલમહાકુંભની મશાલ રાજ્યભરમાં ગામતાલુકાજિલ્લા સુધી ખેલકૂદ સંસ્કૃતિની જ્યોત ઊજાગર કરશે તેવો વિશ્વાસ પણ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર(દક્ષિણ)ના ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર(ઉત્તર)ના ધારાસભ્ય અશોકકુમાર પટેલ, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન અશોકભાઇ ભાવસાર, ખાદીગ્રામોધોગ બોર્ડના ચેરમેન વાડીભાઇ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મહેન્દ્રસિંહ રાણા, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સચિવ ભાગ્યેશ જ્હા, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ વિકાસ સહાય સહિત અનેક મહાનુભાવો અને રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્તયુવા ખેલાડીઓરમતપ્રેમી યુવાનો અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.