CMની જાહેરત: ઓખીથી અસરગ્રસ્ત ખેડૂતોને મળશે વળતર
વાવાઝોડું નજીક હોવાને કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ. ખેડુતોના પાકને કમોસમા વરસાદને કારણે થયુ નુકસાન. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડુતોને વળતર આપવાની જાહેરાત કરી.
સુરત તથા દક્ષિણ ગુજરાત પરથી ઓખી વાવાઝોડાનું જોખમ ટળી ગયું છે, પરંતુ આ વાવાઝોડું નજીક હોવાને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. આ વરસાદને કારણે ખેડૂતોના પાક ધોવાઇ જતાં તેમને રડવાનો વારો આવ્યો છે. આથી બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઓખીથી અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર તરફથી રાહત આપવામાં આવશે. ઓખીને કારણે જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે એમને વળતર આપવામાં આવશે.
તેમણે આગળ કહ્યું હતું કે, આ વાવાઝોડાને કારણે પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પણ સતત ચિંતામાં હતા. કેન્દ્ર સરકાર વાવાઝોડાં પર સતત નજર રાખીને બેઠી હતી. કયા ખેડૂતોને કેટલું નુકસાન થયું છે એ અંગે એક સર્વે કરવામાં આવશે અને ખેડૂતોને વળતર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઓખી વાવાઝોડું દક્ષિણ ગુજરાતની નજીક આવતાં છેલ્લા બે દિવસથી વિવિધ વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને દ્રવ્ય પાકને મોટા પાયે નુકસાન થયું છે.