બિનસચિવાલયની પરીક્ષાના હોબાળા વચ્ચે સીએમ રૂપાણીની ગૃહમંત્રી સાથે બેઠક
બિનસચિવાલયની પરીક્ષાના હોબાળા વચ્ચે સીએમ રૂપાણીની ગૃહમંત્રી સાથે બેઠક
અમદાવાદઃ બિન સચિવાલય ક્લાર્કની લેવાયેલ પરીક્ષામાં ગેરરીતી થઈ હોવાના આક્ષેપ કરી પરીક્ષા રદ કરવાની માંગ સાથે બુધવારે હજારોની સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. યુવાનોએ લેવાયેલ પરીક્ષા રદ્દ કરી ફરીથી પરીક્ષા લેવાની માંગણી કરી છે, જ્યારે પ્રદિપસિંહ જાડેજાએ બુધવારે બપોરે સ્પષ્ટ કહી દીધું હતું કે પરીક્ષા ફરીથી નહિ લેવાય, જે બાદ યુવાનોએ ગાંધીનગરમાં દેખાવો કર્યો હતો અને સરકાર સામે બાંયો ચડાવી હતી.

યુવાનોને પોલીસે ડિટેઈન કર્યા
હજારોની સંખ્યામાં રેલી કરવા પહોંચેલ યુવાનોને રેલી યોજવાની મંજૂરી ના હોવાથી પોલીસે પરીક્ષાર્થીઓને ડિટેઈન કરવા શરૂ કરી દીધા હતા, જેના કારણે ઓહાપોહ મચી જવા પામ્યો હતો. બુધવારે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ સહિત 800થી વધુ યુવાનોની પોલીસે અટકાયત કરી હતી. રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટ કહી દીધું હતું કે જેમણે ગેરરીતી કરી છે તેમની વિરુદ્ધ આકરાં પગલાં ભરવામા આવશે પરંતુ પરીક્ષા રદ્દ નહિ થાય. આ બધા હોબાળાની વચ્ચે બુધવારે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને તેડું આવતાં તેઓ સીએમને મળવા દોડી ગયા હતા.

મોડી સાંજે મુખ્યમંત્રી-ગૃહમંત્રી બેઠક મળી
બુધવારે મોડી સાંજે ગાંધીનગરમાં સીએમ હાઉસ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદિપસિંહ જાડેજાએ સમગ્ર પ્રકરણની માહિતી આપી મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા. બેઠકમાં નક્કી કરાયું કે, સમગ્ર તપાસના અંગે સરકાર નિર્ણય જાહેર કરશે, હાલ આંદલનકારી યુવાનો સાથે સરકાર કોઈ વાતચીત નહિ કરે. આ ઉપરાંત સરકાર પરીક્ષા કોઈ ભોગે રદ્દ નહિ કરે. પ્રદિપસિંહે કહ્યું કે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મુદ્દે સરકાર બે દિવસમાં નિર્ણય જાહેર કરશે, સીસીટીવીના ફૂટેજની તપાસ થઈ રહી છે, ગેરરીતી કરનાર સામે પગલા લેવાશે, આ ઉપરાત પ્રદિપસિંહે કોંગ્રેસ પર યુવાનોને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો.

પરીક્ષાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યો
જો કે સરકાર દ્વારા એક સાંભળવાાં ના આવતાં પરીક્ષાર્થીઓ રાત્રે પણ સચિવાલયના દરવાજા સામે બેસી રહ્યા હતા અને સરકાર સામે 'લાખો મે પેપર બિકતા હૈ, એક દીન તો ગુજારો ગુજરાતમેં...', 'પરીક્ષા રદ્દ નહિ તો સરકાર રદ્દ'ના નારા સાથે હલ્લાબોલ કરી. જણાવી દઈએ કે ગત રાત સુધી પોલીસે પરીક્ષાર્થીઓને ડિટેઈન કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો હતો, ડિટેઈન કરેલા પરીક્ષાર્થીઓમાંથી 3 યુવાનોની તબિયત લથડતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
જીજ્ઞેશ મેવાણીએ સરકારની નીતિને વખોડી કાઢી
આ મુદ્દે વડગામથી અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આરોપ લગાવતા કહ્યું કે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં જે પેપરલીક થયું તેમાં નિર્વિવાદ પણે કમલમ અને ગાંધીનગરની સાંઠગાંઠ હોવી જ જોઈએ. ઉપરાત જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, 'ગુજરાતના વિદ્યાર્થીઓ આજે જે ગાંધીનગર પહોંચ્યા હતા અને કમલમના હિસાબે તેમના પર જે પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે જેમાં પોલીસ કરતાં ગાંધીનગરમાં બેઠેલી સરકારનો વધુ વાંક છે. એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે આજે ભલે તમારા પર દમન થયું, અમે વિધાનસભાના ધારાસભ્યો તમારી સાથે છીએ.'












Click it and Unblock the Notifications
