રાજકોટનો કાયાપલટ કરશે,100 કરોડના ખર્ચે બંધાનાર બસ ટર્મિનલ
રાજકોટમાં સો કરોડના ખર્ચે એક હાઇટેક આયકોનિક બસ ટર્મિનલ બનવાનું છે. જેની તસવીરો જુઓ અહીં.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અત્યાધુનિક સગવડો વાળા આયકોનિક બસ ટર્મિનલનું લોકાર્પણ કર્યું હતું. રાજકોટમાં આ બસ ટર્મિનલ 100 કરોડના ખર્ચે બંધાશે. આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજકોટ એસ.ટીમાં આધુનિક સગવડો આપવા અને અદ્યતન આંતરાષ્ટ્રિય કક્ષાના એરપોર્ટની સુવિધા રાજ્ય સરકાર આપવા જઇ રહી છે. નોંધનીય છે કે રાજ્યમાં ચાર આધુનિક બસ ટર્મિનલ કાર્યરત થઇ ગયા છે. અને હવે બીજા 14ના ખાતમુહર્ત થવા જઇ રહ્યા છે.
રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં 50 થી વધુ વોલ્વો બસો જુદા જુદા લાંબા રૂટો પર દોડવવામાં આવી રહી છે. આ બસ ટર્મિનલમાં ફુડઝોન, શોપિંગ મોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સાથે જ એસટીમાં જીપીએસ સીસ્ટમ, ઇલેક્ટ્રોનિક સાઇન બોર્ડ તેમજ મોબાઇલ એપ જેવી સુવિધાઓ મુસાફરોને આપવામાં આવશે.
વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં 191.91 લાખના ખર્ચે નવનિર્મિત જિલ્લા નોંધણી ભવનનું પણ લોકાર્પણ કર્યું હતું. જે બાદ તેમણે આધુનિક કચેરીનું નિરિક્ષણ કર્યું હતું. આ કચેરીમાં એક દસ્તાવેજ નોંધણી કક્ષ, નવ ઓફિસ કક્ષ તેમ જ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવનમાં રાજકોટ શહેરના સબ રજીસ્ટ્રાર કચેરી રાજકોટ ઝોન-૧ (શહરે ) તથા હેડકવાર્ટર સબ રજીસ્ટ્રાર કચેરી, નોંધણી નિરક્ષકની કચેરી તથા લગ્ન નોંધણી અધિકારીની કચેરીઓ કાર્યરત રહેશે.