"UPમાં BJPને દલિત વિરોધી ચિતરવાનો કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ"
ગાંધીનગર ખાતે આયોજિત અનુસૂચિત જાતિના લાભાર્થીઓનો વાહન વિતરણ સમારોહમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી નું નિવેદન....
આજે ગાંધીનગર ખાતે આયોજિત અનુસૂચિત જાતિના લાભાર્થીઓનો વાહન વિતરણ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા ભારતના નિર્માણમાં ગરીબ, વંચિત, દલિતને સમાન તકના અધિકાર આપી આર્થિક ઉન્નતિના દ્વાર ખોલી આપવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકારે આવા વર્ગોને સાધન-સહાય આપીને સશકિતકરણની દિશા-ટેકો આપવાનું દાયિત્વ જ નિભાવવાનું હોય છે. દલિત-વંચિત-ગરીબ કયાંય પાછળ ન રહે, પોતાને વામણા ન સમજે તેવી કાર્યપદ્ધતિ આ સરકારે વિકસાવી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં દલિતો પરના અત્યાચારનો રાજકીય મુદ્દો ઉઠાવીને રાજકીય રોટલા શેકવાની પ્રતિપક્ષોની મૂરાદને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં લપડાક પડી છે. હવે, ગુજરાતના નાગરિકો પણ પરિપક્વતા બતાવી વિકાસની જ રાજનીતિને સ્વીકારશે. વિજય રૂપાણીએ ઉમેર્યું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારે એક પછી એક પ્રજાલક્ષી પગલાંઓ લઇને જનમત અને લોકવિશ્વાસ ઊભા કર્યા છે. તેના પરિણામો ગુજરાતમાં પણ જોવા મળશે. વંચિત-દલિત-ગરીબ વર્ગો સહિત જન-જનનો વિશ્વાસ આ સરકારમાં પડઘાય છે.
ઉનાની ઘટનાના બનાવને લઇ ને ઉત્તર પ્રદેશમાં ભાજપને દલિત વિરોધી ચિતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જનતાએ તેનો જવાબ આપ્યો છે. રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ઉનાના બનાવને લઈને ભાજપની સરકારને બદનામ કરવામાં આવે છે. પરંતુ આ બનાવમાં સંડોવાયેલા એક પણ વ્યક્તિને છોડવામાં આવ્યો નથી. અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા જ્ઞાતિ-જાતિનું રાજકારણ રમવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીની આ સરકાર વિકાસની રાજનીતિ કરે છે અને આ સરકાર ગરીબોની સરકાર છે.