ભરૂચમાં પતંગ ચગાવવા મુદ્દે કોમી અથડામણમાં 3ના મોત, 10 ઘાયલ
ભરૂચ, 14 જાન્યુઆરી : ઉત્તરાયણના દિવસે એટલે કે 14 જાન્યુઆરીએ ભરૂચ જિલ્લાના અંબેટા ગામમાં મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ ચગાવવાના મામલે એક ઝઘડો થયા બાદ કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. જેના પગલે આજે પાસેના હાંસોટ ગામમાં બે રાહદારીને મારી નાખવામાં આવ્યા છે, જ્યારે બીજા દસ જણ ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ મામલો એક મુસ્લિમ બાળક કપાયેલી પતંગ પકડતો હતો ત્યારે એની મારપીટ કરાતા બીચક્યો હતો. થોડા જ સમયમાં કોમી અથડામણ શરૂ થઇ હતી. બંને કોમના લોકો તીક્ષ્ણ હથિયારો સાથે એકબીજા સામે મારામારી પર ઉતરી પડ્યા હતા. એક ટોળાએ બે મોટરબાઈક સવાર પર હુમલો કર્યો હતો. બંનેનું છરાભોંકાવાને કારણે મૃત્યુ થયું છે.

ગઈ કાલે મોડી રાત સુધી આગ ચાંપવા, દુકાનો તોડફોડ કરવા અને છરાભોંકની ઘટનાઓ ચાલુ રહી હતી.ટોળાએ હરીફ કોમના ખેતરમાં ઊભા પાકને સળગાવી દીધો હતો.
રમખાણમાં ઈજા પામેલાઓને અંકલેશ્વર લઈ જતી એક એમ્બ્યુલન્સને સહોલ ગામ નજીક આગ લગાડવામાં આવી હતી.
હુલ્લડખોરોએ અંકલેશ્વર જતા તમામ રસ્તાઓ પર અવરોધો મૂકી દીધા હતા જેને લીધે હાંસોટના ગામવાસીઓને ઈજાગ્રસ્તોને દરિયાઈ માર્ગે હોડીઓમાં બેસાડીને ભરૂચની હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.
અંબેટા ગામમાં લોકોની વસ્તી ખૂબ ઓછી છે. ત્યાં મોટે ભાગે સુરતથી આવેલા લોકો વસ્યા છે. પોલીસોએ હુલ્લડખોરોને વિખેરવા અશ્રુવાયુના દસ શેલ્સ ફોડ્યા હતા અને પાંચ વખત ગોળીબાર પણ કર્યો હતો. આજે ગામમાં પરિસ્થિતિ અંકુશ હેઠળ છે અને પોલીસે બંદોબસ્ત, પેટ્રોલિંગ વધારે કડક બનાવી દીધા છે. પોલીસે ફરિયાદ નોધી છે અને એસઆરપી ગોઠવી દીધી છે.












Click it and Unblock the Notifications
