રાહુલ ગાંધીએ સોમનાથમાં દર્શન કરીને શરૂ કર્યો ચૂંટણી પ્રચાર
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમનાથ પહોંચ્યા. ગુજરાત વિધાનસભાના ચૂંટણી પ્રચાર માટે રાહુલ આજે ગુજરાતમાં છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભાના ચૂંટણી પ્રચાર માટે આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે છે. ત્યારે રાહુલ ગાંધીએ તેમના આ ચૂંટણી પ્રચારની શરૂઆત સોમનાથ મંદિરમાં દર્શન કરીને કરી હતી. બપોરે રાહુલ ગાંધી સોમનાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે જળાભિષેક કરી શિવજીની પૂજા કરી હતી. આ પ્રસંગે રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સમતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર હતા. ઉલ્લેખનીય છે કે આજની સભામાં રાહુલ ગાંધી ચાર જગ્યાએ જનસભાઓ કરશે અને સોમનાથ થી અમરેલી સુધીનો વિસ્તાર કવર કરી ત્યાં ચૂંટણી પ્રચાર કરશે.
આજે રાહુલ ગાંધી વિસાવદર, સાવરકુંડલા અને અમરેલીમાં જનસભા કરશે અને કોર્નર મીટિંગ પણ કરશે. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આજે ગુજરાતમાં રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ જગ્યાએ સભાઓ કરી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ સવારથી જ રાહુલ ગાંધી અને તેમની જીએસટીમાં તમામ સ્લેબને એક કરવાની માંગ પર પ્રહાર કરી ચૂક્યા છે ત્યારે જોવાનું તે રહે છે કે આ પછી વિસાવદરમાં રાહુલ ગાંધી પીએમ મોદી પર શું પ્રહાર કરે છે.