ગેસ સિલિન્ડરના નામે પ્રજાને મુર્ખ બનાવે છે કોંગ્રેસઃ મોદી
પોશીના ખાતે નરેન્દ્ર મોદીએ લોકોને જણાવ્યું હતું કે "મારી યાત્રાઓમાં ઘણીવાર લોકો મને પૂછતા કે, તમે આટલા રૂપિયા લાવો છો ક્યાંથી? મારે કહેવું છે કે મોદી આટલા રૂપિયા એટલા માટે લાવે છે કે મોદીને રૂપિયા ખાનારો જમાઇ નથી. મારું કુટુંબનું છ કરોડ લોકોનું છે. આ રૂપિયા મારે તેમના માટે ખર્ચ કરવા છે."
સોનિયા ગાંધી પર પ્રહારો કરતા મોદીએ 2007ની ચૂંટણીને યાદ કરી કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ 2007માં છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી પરંતુ એ આખા વિસ્તારમાં કોંગ્રેસ ધોવાઇ ગયું હતું, આ વખતે તેમણે તેની દિશા બદલી છે અને તેઓ રાજકોટ આવ્યાં પરંતુ તેમણે ભલે તેમની દિશા બદલી પણ કોંગ્રેસની દશા બદલાવાની નથી, રાજકોટમાં પણ તેમના સુપડાસાફ થવાના છે.
મુખ્યમંત્રી મોદીએ જાહેર કર્યું હતું કે ગાંધીનગરમાં તે કોઇ મુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ ગુજરાતની તિજોરીનો ચોકીદાર થઇને બેઠો છું અને હું આ તિજોરી પર કોઇ પંજો પડવા નહીં દઉં. બધા કહે છે કે મોદી વિકાસ માટે આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે છે પરંતુ આ પૈસા છ કરોડ ગુજરાતીઓના છે, જે પહેલા બીજાના ખિસ્સામાં જતા હતા.