વિપક્ષની સ્ટ્રેટેજીઃ લોક પ્રશ્નોના નિવારણ માટે કૉંગ્રેસ બનાવશે જનતા કી સરકાર
ભાજપ સરકારની નિષ્ફળતા છતી કરવા અને સામાન્ય લોકોના પ્રશ્નોના નિવારણ માટે કૉંગ્રેસ જનતા કી સરકારની રચના કરશે.
ભાજપ સરકારની નિષ્ફળતા છતી કરવા અને સામાન્ય લોકોના પ્રશ્નોના નિવારણ માટે કૉંગ્રેસ જનતા કી સરકારની રચના કરશે. લોક પ્રશ્નોના નિવારણમાં ભાગીદારી માટે કૉંગ્રેસે તૈયારી આદરી છે. જે માટે કૉંગ્રેસે તમામ ધારાસભ્યોને વિવિધ વિભાગોની જવાબદારી સોપીને સરકારને સમાંતર શેડો ગવર્નમેન્ટ તૈયાર કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. જે માટે ખાસ કરીને આઇટી સેલના કાર્યકરોની મદદથી ગુજરાતની જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યક્રમમાં કૉંગ્રેસ આઇટી સેલ મહત્વની કામગીરી નિભાવશે.
લોકપ્રશ્નોના નિવારણ માટે કૉંગ્રેસની પહેલ
રાજ્યમાં યુવાનો માટે બેરોજગારી અને મોંઘાદાટ શિક્ષણની સાથે સાથે ફિક્સ પગાર જેવી સમસ્યાઓ છે. ત્યારે, ખેડૂતોને પણ એમએસપી, લોન, વિજળી, પાણી અને ખેતી માટે પણ ઘણી સમસ્યા છે. આ તમામને લઈને ખેડૂતો અનેક સમસ્યાઓથી પીડિત છે. સામાન્ય જનતાની સમસ્યા કોઈ સાંભળતું નથી કે, સામાન્ય લોકોના પ્રશ્નો નિવારવામાં કોઈને રસ પણ નથી. ત્યારે, લોકોના દુખ દર્દમાં ભાગીદાર થવા અને તેમના પ્રશ્નોના નિવારણ માટે કૉંગ્રેસે જનતા કી સરકાર અભિયાન હાથ ધર્યુ છે.
ધારાસભ્યો વિવિધ પ્રભાગ પર રાખશે નજર
કૉંગ્રેસે સરકારના વિવિધ વિભાગો પર નજર રાખવા ઈચ્છુક ધારાસભ્યોની યાદી તૈયાર કરી હતી. કૉંગ્રેસની યોજાયેલ તાલિમ શિબિરમાં સરકારના વિવિધ વિભાગો પર નજર રાખવા ઈચ્છતા ધારાસભ્યોને કેબિનેટ રાજ્યકક્ષાના વિભાગો સોપવામાં આવશે. આ ધારાસભ્યો જે તે વિભાગો પર નજર રાખીને તે પ્રશ્નો નિવારવા કામગીરી કરશે તેમજ યોગ્ય સંકલન કરશે.
આઇટી સેલના કાર્યકરો નિભાવશે કામગીરી
દરેક મતવિસ્તાર દીઠ આઇટી સેલના દસ કાર્યકરો કાર્યરત કરવામાં આવશે. જે, તાલુકા જિલ્લાથી માંડીને રાજ્યકક્ષાના પ્રશ્નોનું નિરાકરણ લાવશે. વિપક્ષના કાર્યાલયમાં આવતાં રાજ્યભરના લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જે તે વિભાગોમાં મેઈલ અથવા પત્રો દ્વારા મોકલી તેનો ઉકેલ લાવવા પ્રયાસ કરવામાં આવશે. તેમજ, રાજ્યના લોકોના આવેલા પ્રશ્નોનું સ્ટેટ્સ પણ ઓનલાઈન જોઈ સરકારમાં તેના નિરાકરણ અંગે શું સ્થિતિ છે તે પણ જાણી શકાશે.
કોમ્પ્યુટરાઈઝ્ડ ડાટા કરાશે તૈયાર
લોકપ્રશ્નોના ઉકેલ માટે કૉંગ્રેસ જરૂર પડ્યે આંદોલન પણ કરશે. કૉંગ્રેસ દ્વારા આ સંપુર્ણ કાર્યક્રમ માટે કૉમ્પ્યુટરાઈઝ્ડ પોગ્રામ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં, જિલ્લા અને તાલુકા સ્તરથી માંડી રાજ્ય સ્તર સુધી લોકોના પ્રશ્નોના ડાટા સંગ્રહ કરવા તેમજ યોગ્ય વિભાગોમાં મોકલવા અને તેની અરજદાર સુધી જાણકારી પહોંચાડવામાં આવશે.
લોકપ્રશ્નોના નિવારણ માટે વિપક્ષની સ્ટ્રેટેજી
રાજ્યમાં લોકોને પોતાના પ્રશ્નો ઉકેલવામાં સરકારી વિભાગો યોગ્ય ધ્યાન આપતા નથી. સરકાર પણ ખાસ કરીને લોકોના પ્રશ્નો સાંભળવા બેપરવાહ જોવા મળી રહી છે. ત્યારે, વિપક્ષે લોકપ્રશ્નોના નિવારણ માટે નવી સ્ટ્રેટેજી અપનાવી છે. જેનાથી લોકપ્રશ્નોના ઉકેલમાં ભાગીદારી કેળવી શકાય અને ગ્રાઉન્ડ લેવલ પર પોતાનું પ્રભુત્વ ઉભું કરી શકાય. પરંતું, કૉંગ્રેસના દરેક કાર્યક્રમ ખાસ સફળ થતા નથી. ત્યારે, કૉંગ્રેસનો આ જનતા કી સરકાર કાર્યક્રમ કેટલો સફળ થાય છે તે જોવું રહ્યું.