કોંગ્રેસે નરેન્દ્ર મોદીના ટોપ 10 જુઠ્ઠાણાંઓ જાહેર કર્યાં

ગોહિલે જણાવ્યું કે 'ગુજરાતના મુખ્યમંત્રીએ જે સેંકડો જૂઠ્ઠાણાંઓ ચલાવ્યા છે તે પૈકીના ટોપ ટેન જૂઠ્ઠાણાંઓ પ્રેસ અને મીડીયા સમક્ષ રજૂ કરીને મહાત્મા ગાંધીજીની જયંતિએ આશા વ્યક્ત કરી હતી કે, દુનિયાને સત્યનો માર્ગ શીખવાડનાર મહાત્મા ગાંધીજીની ગુજરાતમાં ગપોડીબાજ મુખ્યમંત્રીએ ગુજરાતનું અપમાન છે.'
ગુજરાતના મુખ્યમંત્રીના ટોપ ટેન જૂઠ્ઠાણાંઓ
મુખ્યમંત્રીનું જૂઠ્ઠાણું (૧)
ચૂંટણી સમયે મુખ્યમંત્રીશ્રીએ કહેલું કે, ગુજરાતને કેજી બેઝિનમાં ૨૦ ટીસીએફ ઓઈલ અને ગેસ મળી ગયો છે. મારો ગુજરાતી હવે ચકલી ખોલશે તો ઓઈલ અને ગેસ મળશે.
સત્ય હકીકત (૧)
ડીજી હાઈડ્રો કાર્બને સર્ટીફાઈડ કરીને આપ્યું છે કે, ૨૦ ટીસીએફ ઓઈલ અને ગેસ નથી, કેજી બેઝીનમાં માત્ર ૨ ટીસીએફ છે અને તે પણ રીકવરેબલ થાય કે કેમ ? તે કહી શકાય તેમ નથી. આજે આમ ગુજરાતી ચકલી ખોલે છે તો પેટ્રોલ કે ડીઝલ નહીં પરંતુ પીવાનું પાણી પણ મળતું નથી. કેજી બેઝિનમાં ૮૦૦૦ કરોડ રૂપિયા ખવાઈ ગયા છે અને સામે ટીપું પણ ઓઈલ કે ગેસ મળેલ નથી.
મુખ્યમંત્રીનું જૂઠ્ઠાણું (૨)
મારો ગુજરાતનો ખેડૂત દર વર્ષે નવી મારૂતિ ખરીદે છે.
સત્ય હકીકત (૨)
સરકાર ખેડૂતોને મદદ જ કરતી નથી અને તેથી ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરે છે અને ખેડૂતની મા રોતી રહે છે.
મુખ્યમંત્રીનું જૂઠ્ઠાણું (૩)
૨૦૦૭ના વાયબ્રન્ટ ગુજરાતમાં કહેલું કે, વાયબ્રન્ટ ગુજરાતના કારણે ૨૫ લાખ યુવાનોને રોજીરોટી મળી જશે. ગુજરાતમાં કોઈપણ યુવાન બે વર્ષમાં બેરોજગાર નહીં હોય.
સત્ય હકીકત (૩)
સરકારને ચોપડે નોંધાયેલા ૮,૨૫,૪૮૮ શિક્ષિત બેરોજગાર છે. કોંગ્રેસના શાસન કરતાં આ બેરોજગારોની સંખ્યા ૨.૫ લાખ કરતાં વધુ છે.
મુખ્યમંત્રીનું જૂઠ્ઠાણું (૪)
બનાસકાંઠાનો ખેડૂત જે ટમેટા પકવે છે તેમાંથી ટમેટા સોસ અને બટાકામાંથી વેફર બનાવીને પાઈપલાઈનથી યુરોપમાં ઠલવાશે અને યુરોપમાંથી યુરો(યુરોપના રૂપિયા)નો ગુજરાતમાં ઢગલો થશે.
સત્ય હકીકત (૪)
ખેડૂતોની ખેતપેદાશ માટે છેલ્લા ૧૨ વર્ષમાં એકપણ વખત માર્કેટ ઈન્ટરવેન્શન થયું નથી. બનાસકાંઠાના ખેડૂતોના ટમેટાના કેચઅપ કે બટાકાની વેફર ક્યાંય વેચાણી નથી, પરંતુ બનાસકાંઠાના ખેડૂતોએ બટાકા રોડ ઉપર ફેંકવાનો વારો આવ્યો હતો.
મુખ્યમંત્રીનું જૂઠ્ઠાણું (૫)
ચૂંટણી સમયે કહેલું કે, મારી ગુજરાતની બહેન એક પોસ્ટકાર્ડ લખશે તો આ તમારો ભાઈ ગાંધીનગરમાંથી તમારું કામ કરી આપશે.
સત્ય હકીકત (૫)
કોઈ બહેનને એકપણ જવાબ તેમના પોસ્ટકાર્ડનો મળ્યો નથી. બહેનોના બાળકો કે બહેનોના ગળાનું મંગળસૂત્ર કશું જ સલામત નથી. વિધવા બહેનોના પેન્શનમાં એક રૂપિયાનો પણ વધારો આ મુખ્યમંત્રીશ્રીએ ૧૨ વર્ષમાં કર્યો નથી.
મુખ્યમંત્રીનું જૂઠ્ઠાણું (૬)
અમિતાભ બચ્ચન સાવ મફતમાં બ્રાન્ડ એમ્બસેડર તરીકે ગુજરાતનું કામ કરે છે.
સત્ય હકીકત (૬)
વિધાનસભામાં પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું કે, ગુજરાતની તિજોરીમાંના કરોડો રૂપિયા કોઈપણ ટેન્ડરની પ્રક્રિયા વગર અમિતાભ બચ્ચન અને તેની જાહેરાત પાછળ ખર્ચાયા છે.
મુખ્યમંત્રીનું જૂઠ્ઠાણું (૭)
ચૂંટણી સમયે કહ્યું હતું કે, હું કાંઈ ખાતો નથી અને ખાવા દેતો નથી.
સત્ય હકીકત (૭)
કેગના અહેવાલ પરથી સાબિત થયું કે, કરોડોથી ઓછું કાંઈ ખાતા નથી અને આમ ગુજરાતીને તેની મહેનતની રોટી પ્રેમથી ખાવા દેતા નથી. ભ્રષ્ટાચાર ન પકડાય એ માટે ગુજરાતમાં કાયદો હોવા છતાં સાડા આઠ વર્ષથી લોકાયુક્ત નિયુક્ત કરવા દેતા નથી.
મુખ્યમંત્રીનું જૂઠ્ઠાણું (૮)
કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરે છે. મણ લઈ જાય છે અને કણ આપતા નથી.
સત્ય હકીકત (૮)
એનડીએની સરકારના સમયમાં ગુજરાતમાંથી જે ટેક્સ જતો હતો તેની સામે રાજ્યને મળતા નાણાંની ટકાવારી, કુલ રકમ અને ખાસ યોજનાઓમાં મળતી રકમની કેન્દ્રની સહાય આ બધું જ કોંગ્રેસની કેન્દ્રમાં સરકાર આવ્યા પછી ગુજરાત માટે વધ્યું છે. આ આંકડાકીય માહિતી નાણાં વિભાગની વેબસાઈટ ઉપર પણ ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રીનું જૂઠ્ઠાણું (૯)
મેં માત્ર એક એસ.એમ.એસ. રતન ટાટાને કર્યો અને ગુજરાતમાં નેનો આવી ગઈ. નેનો ગુજરાતમાં લાવવાનો ખર્ચ એટલે એક એસ.એમ.એસ. એટલે એક રૂપિયો.
સત્ય હકીકત (૯)
૩૩ હજાર કરોડના લાભો ગુજરાતની તિજોરીમાંથી ટાટાને આપી દીધા અને ગુજરાતીઓને નોકરી આપવાની લીટીમાંથી પણ મુક્તિ આપી દીધી.
મુખ્યમંત્રીનું જૂઠ્ઠાણું (૧૦)
વિસ્તારમાંથી આર.ટી.આઈ. કરનારને કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે કે, સોનિયા ગાંધીજીની તબિયત પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.
સત્ય હકીકત (૧૦)
વિસ્તારના આર.ટી.આઈ. કાર્યકર્તાએ જ સ્પષ્ટ કહ્યું છે, મારા નામે ગુજરાતના મુખ્યમંત્રીએ જે વાત કરી છે તે જૂઠ્ઠાણું છે. સોનિયાજીના તબિયત પાછળના ખર્ચનો કોઈ આંકડો સરકારે મને આપ્યો નથી.












Click it and Unblock the Notifications
