આજે પાક વીમા મુદ્દે રાજકોટમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
રાજકોટ, 13 સપ્ટેમ્બર : આજે ગુજરાત સરકાર સામે કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન યોજશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પાક વીમા સહિતના પ્રશ્નો માટે આજે બપોરે 2 વાગે રાજકોટની વીરાણી હાઇસ્કૂલ ખાતે ખેડૂતોનું સંમેલન યોજ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આ સંમેલન દ્વારા શક્તિ પ્રદર્શન યોજવાની છે. આ સંમેલનમાં સૌરાષ્ટ્રના ગામડાંમાંથી ખેડૂતો આવવાના છે. ખેડૂતો વતી કોંગ્રેસે પાક વીમો, વીજળી, પાણી, ખાતર પરનો વેટ, વીજળીના જોડાણ વગેરે મુદ્દાઓને સરકાર સામે ઉઠાવ્યા છે. ખેડૂત સંમેલનને પરિણામે રાજકોટ શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે.
સંમેલન માટે નિયુક્ત થયેલા પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકોએ આજનું સંમેલન ઐતિહાસિક અને રાજ્યની ભાજપ સરકારને ખેડૂત વિરોધી નીતિમાંથી પીછેહઠ કરાવનારૂ બની રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સંમેલન પછી પણ ખેડૂતોના પ્રશ્ન હલ ન થાય તો વિધાનસભા સત્ર વખતે ગૃહને ઘેરાવ સહિતના આક્રમક કાર્યક્રમો આપવાની કોંગ્રેસની વિચારણા છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રભારી ગુરૂદાસ કામત, કેન્દ્રીય મંત્રીઓ , ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, વિધાનસભાના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા, પૂર્વ નેતા શક્તિસિંહ ગોહિલ વગેરે આ સંમેલનમાં ઉપસ્થિત રહીને ખેડૂતોના પ્રશ્નોને ઉપસ્થિત કરશે.
પાક વીમા મુદ્દે પ્રદેશ નિરીક્ષકો ડો. ચંદ્રિકાબેન ચુડાસમા, શૈલેષ પરમાર અને વી.વી. રબારીએ જણાવ્યું કે વીમા કંપનીની જવાબદારી માત્ર વીમા યોજનાનું સંચાલન કરવાની છે. વીમાની રકમ ચૂકવણીમાં 50 ટકા હિસ્સો રાજ્ય સરકાર અને 50 ટકા હિસ્સો કેન્દ્ર સરકારે આપવાનો રહે છે. વર્ષ 2012ના પાક વીમાની ચુકવણી માટે ભારત સરકારે એપ્રિલ 2013માં રૂ. 700 કરોડ આગોતરા જમા કરાવી દીધા છે. વધારાની રકમ જરૂર મુજબ ચુકવવાની તૈયારી બતાવી છે.
તેમણે જણાવ્યું કે ચોમાસુ પાકમાં ધિરાણ યોજના હેઠળ કુલ 11,42,000 ખેડૂતોએ 6064 કરોડના પાક ધિરાણ મેળવીને પ્રિમીયમ ભર્યુ હતું. પાક નિષ્ફળ જતા રાજ્ય સરકારે વાવેતરનો વિસ્તાર અને વાવેતરના પ્રમાણના આંકડા (પાણીપત્રક) વિમા કંપનીના આપવાના થાય છે. રાજ્ય સરકારે વાવેતરના આંકડાઓ વાસ્તવિકતા કરતા ઓછા આપતા વિસંગતતા થઈ છે. રાજ્ય સરકારે ખેડૂતોને મળવાપાત્ર કરતા ઓછા અને મોડા આંકડા આપેલ છે.
ખેડૂતોના હક્કનું ચૂકવણુ અટકયું છે. રાજ્યની મોદી સરકાર સામે અવાજ ઉઠાવવા, ખેડૂતોને 8 કલાકના બદલે 16 કલાક પુરતી વિજળી અપાવવા, વિજ જોડાણોની પડતર માંગણી પુરી કરાવવા, ખેતરોમાં ભૂંડનો ત્રાસ દૂર કરાવવા સહિતના મુદ્દે ખેડૂત સંમેલન યોજાયેલ છે. જેમાં સૌરાષ્ટ્રભરના કોંગ્રેસના સંસદ સભ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત છે.












Click it and Unblock the Notifications
