ગુજરાતમાં કોરોના કેસમાં વધારો, સક્રિય કેસ 1 હજારથી વધુ, રાજ્યમાં ઓમિક્રૉનના કેસ થયા 73
કોરોનાના કેસો ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 204 નવા કેસ સામે આવ્યા છે. જાણો લેટેસ્ટ આંકડા.
અમદાવાદઃ કોરોનાના કેસો ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 204 નવા કેસ સામે આવ્યા છે અને 1 વ્યક્તિનુ કોરોના વાયરસના કારણે મોત નીપજ્યુ છે. કોરોનાના સક્રિય કેસ છેલ્લા 10 દિવસમાં 90 ટકા જેટલી વધીને હવે 1086 થઈ ગયા છે. રાજ્યમામં 10 જુલાઈ બાદ પહેલી વાર કોરોનાના એક હજારથી વધુ દર્દી ઈલાજ કરાવી રહ્યા છે. 191 દિવસ બાદ રાજ્યમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો 200ને પાર થયો છે.
અમદાવાદમાં સૌથી વધુ 100 કેસ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 98 અને ગ્રામ્યમાં 2 સાથે 100 નવા કેસ સામે આવ્યા. સમગ્ર રાજ્યના લગભગ અડધા કેસ માત્ર અમદાવાદ જિલ્લામાં જ છે. રાજકોટ શહેરમાં 33 અને ગ્રામ્યમાં 3 સહિત 36, સુરત શહેરમાં 22 અને ગ્રામ્યમાં 1 સહિત 23, વડોદરા શહેરમાં 16 અને ગ્રામ્યામાં 1 સહિત 17, ગાંધીનગર શહેરમાં 4 અને ગ્રામ્યમાં 1 સહિત 5, ખેડામાં 4, મહીસાગરમાં 3, આણંદ-ભરુચ-કચ્છમાં 2, બનાસકાંઠા-ભાવનગર શહેર-દાહોદ-જામનગર શહેર-જૂનાગઢ શહેર-મહેસાણા-નવસારી-પંચમહાલ-સુરેન્દ્રનગર-વલસાડમાં 1-1 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસનો કુલ આંડ હવે 8,29,563 સુધી પહોંચી ગયો છે. કોરોનાથી જામનગરમાં એક મોત થયુ છે. આમ, કોરોનાથી રાજ્યમાં મૃત્યુઆંક 10,114 સુધી પહોંચી ગયો છે.
રાજ્યમાં રસીકરણની સંંખ્યા
તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં 65થી વધુ દર્દી સાજા થયા છે. અત્યાર સુધી કુલ 8,18,363 દર્દી સાજા થયા છે. રિકવરી રેટ 98.65 ટકા છે. રાજ્યમાં હાલમાં 1086 સક્રિય કેસ છે અને 14 દર્દી વેંટીલેટર પર છે. અમદાવાદમાં 398 દર્દી સારવાર લઈ રહ્યા છે. વળી, વેક્સીનેશનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં વધુ 4,02,136 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. આ સાથે હવે કુલ વેક્સીનેશનની સંખ્યા 8.85 કરોડ છે.
ઓમિક્રૉનના કેસોમાં પણ વધારો
રાજ્યમાં ઓમિક્રૉનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઓમિક્રૉનના રેકૉર્ડ નવા 24 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 13, ગાંધીનગર શહેરમાં 4, રાજકોટ શહેરમાં 3, વડોદરા ગ્રામ્ય-ભરુચ-આણંદ-અમરેલીમાં 1-1નો સમાવેશ થાય છે. રાજ્યમાં ઓમિક્રૉનના કુલ કેસ 73 થઈ ગયા છે. જેમાંથી 17 દર્દી સાજા થઈને ઘરે જઈ ચૂક્યા છે. જો કે, હજુ સુધી ઓમિક્રૉનથી સંક્રમિત એક પણ વ્યક્તિનુ મોત નોંધવામાં આવ્યુ નથી.