રોકેટની રફ્તાર પકડતો કોરોના, ગુજરાતમાં છ મહિના બાદ 24 કલાકમાં 394 કેસ નોંધાયા!
દુનિયાભરમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટે આતંક મચાવ્યો છે. હાલ દુનિયાભરમાં કોરોનાના આ નવા વેરિઅન્ટને કારણે ભયનો માહોલ છે. ઘણા દેશમાં પરિસ્થિતી એ છે કે સરકાર સંપુર્ણ લોકડાઉન લગાવવા માટે ગંભીરતાથી વિચારી રહી છે.
અમદાવાદ : દુનિયાભરમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટે આતંક મચાવ્યો છે. હાલ દુનિયાભરમાં કોરોનાના આ નવા વેરિઅન્ટને કારણે ભયનો માહોલ છે. ઘણા દેશમાં પરિસ્થિતી એ છે કે સરકાર સંપુર્ણ લોકડાઉન લગાવવા માટે ગંભીરતાથી વિચારી રહી છે. આ તમામ ઘટનાઓ વચ્ચે ગુજરાતની પરિસ્થિતી પણ રોજ રોજ બગડી રહી છે. એમ કહેવું વધારે પડતું નહીં હોય કે ગુજરાતમાં કોરોના રોકેટ રફ્તારથી ફેલાઈ રહ્યો છે.
ગુજરાતના આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલા કોરોના કેસના આંકડાએ સરકાર સાથે સાથે લોકોની પણ ઉંઘ ઉડાડી દીધી છે. આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 394 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત થયુ છે. આ તમામ આંકડા વચ્ચે સૌથી મોટી વાત છે કે આ આંકડો ગઈ કાલે 204 હતો, જે 24 કલાકમાં 400 નજીક પહોંચ્યો છે. હવે રાજ્યમાં હાલત એ છે કે જો કોરોના અહીં નહીં રોકાય તો રાજ્યમાં લોકડાઉનની નોબત આવી શકે છે.
રાજ્યના વિગતવાર આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ કોરોના 178 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. સુરત શહેરમાં52, રાજકોટમાં 35, વડોદરામાં 34, આણંદમાં 12, નવસારીમાં 10, સુરતમાં 9, ગાંધીનગર શહેર, જામનગર શહેર, ખેડા અને વલસાડ જિલ્લામાં 7-7, કચ્છમાં 5, અમદાવાદ જિલ્લામાં 4, ભરૂચમાં 3, 3, દેવભુમિ દ્વારકા, જુનાગઢ શહેર, મહીસાગર, મોરબી, રાજકોટ અને સાબરકાંઠા જિલ્લામાં 2-2, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર અને ગીરસોમનાથમાં 1, પંચમહાલ, પોરબંદર, તાપીમાં પણ 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ખેડા જિલ્લામાં એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયુ છે. બીજી તરફ આજે ઓમિક્રોન વેરિઅન્ટના 5 નવા કેસ નોંધાયા છે
રાજ્યની વાત કરીએ તો હાલ ગુજરાતમાં કુલ 1420 એક્ટિવ કેસ છે. જે પૈકી 16 નાગરિકો વેન્ટિલેટર પર છે. 1404 નાગરિકો સ્ટેબલ છે. 8,18,422 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યારસુધીમાં કુલ 10115 નાગરિકોનાં કોરોનાએ જીવ લીધા છે.
કોરોનાની રફ્તારની વાત કરીએ તો, ગુજરાતમાં 6 મહિના બાદ 300થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા 14 જુને ગુજરાતમાં 405 કેસ હતા. જો કે બીજી તરફ સારી વાત એ પણ છે કે 59 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં 1400થી વધુ એક્ટિવ કેસ છે. રાજ્યમાં આજે ઓમિક્રોનનો 5 નવા કેસ નોંધાયા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 178 અને જિલ્લામાં 4 મળી કુલ 182 નવા કેસ નોંધાયા છે. જ્યારે ખેડા જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. આ તમામ બાબતો વચ્ચે એક સારી વાત એ પણ છે કે, 11 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.