નરોડા પાટિયા નરસંહાર: SITએ અમિત શાહને નામેે જાહેર કર્યું સમન
નરોડા પાટિયા નરસંહાર કેસમાં અમિત શાહને એસઆઈટી દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે સમન મોકલવામાં આવ્યું છે.
2002માં નરોડામાં થયેલ કોમી રમખાણના મામલે સુનવણી કરતા વિશેષ એસઆઈટી અદાલતે મંગળવારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સમન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂકેલ માયા કોડનાની તરફથી સાક્ષી તરીકે હાજર રહેવા માટે આ સમન જાહેર કરવામાં આવ્યું છે. માયા કોડનાની આ મામલાના મુખ્ય આરોપીઓમાંથી એક છે. તેમણે દાખલ કરેલ અરજીની સુનવણીમાં એસઆઈટી ન્યાયાધીશ પી.બી.દેસાઈએ અમિત શાહને 18 સપ્ટેમ્બરના રોજ અદાલતમાં હાજર થવા જણાવ્યું છે. અદાલતે કહ્યું કે, જો અમિત શાહ જણાવેલ તારીખ પર હાજર નહીં રહી શકે તો અદાલત બીજીવાર સમન જાહેર નહીં કરે.
કોડનાનીના વકીલ અમિત પટેલે અમિત શાહના નિવાસ સ્થાન તરીકે થલતેજ, અમદાવાદ ખાતેનું સરનામું આપ્યું હતું અને એ જ સરનામે અદાલત દ્વારા સમન મોકલવામાં આવ્યું છે. આ પહેલાં જ્યારે અમિત શાહને સમન મોકલવાનું હતું ત્યારે માયા કોડનાની તેમનું સરનામું નહોતા આપી શક્યા. આ સંદર્ભે બે વાર તેમના વકીલ દ્વારા 4 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો, જેથી તેઓ અમિત શાહના સરનામાં અંગે જાણકારી મેળવી શકે.
માયા કોડનાનીને બચાવી શકે છે અમિત શાહનું નિવેદન
આ વર્ષે એપ્રિલમાં અદાલત દ્વારા માયા કોડનાનીને અનુમતિ આપવામાં આવી હતી, જેથી અમિત શાહ તથા બીજા કેટલાક લોકોને સાક્ષી રૂપે હાજર રહેવા સમન બહાર પાડી શકે. માયા કોડનાનીએ પોતે દાખલ કરેલ અરજીમાં પોતાને નિર્દોષ ગણાવતાં કહ્યું છે કે, એ ઘટનાના દિવસે તેઓ રાજ્યની વિધાનસભામાં ભાગ લીધા બાદ સોલા સિવિલ હોસ્પિટલ ગયા હતા. એ સમયે અમિત શાહ પણ ધારાસભ્ય હતા અને સોલા સિવિલ હોસ્પિટલમાં હાજર હતા, જ્યાં સાબરમતી ટ્રેનમાં લાગેલ આગ બાદ કારસેવકોના શબ લાવવામાં આવ્યા હતા. માયા કોડનાની અનુસાર, અમિત શાહનું નિવેદન તેમને નિર્દોષ સાબિત કરવામાં મદદ કરશે. બે અઠવાડિયા પહેલાં સુપ્રીમ કોર્ટે એસઆઈટી અદાલતને ચાર મહિનાની અંદર ટ્રાયલ સમાપ્ત કરવા જણાવ્યું હતું. શીર્ષ અદાલત દ્વારા નીચલી અદાલતને કહેવામાં આવ્યું હતું કે, બાકી રહેલ સાક્ષીઓના નિવેદનો બે મહિનાની અંદર લેવામાં આવે.
2002માં થયેલ આ કોમી રમખાણોના મામલે ચાલતા 9 મુખ્ય કેસોમાંથી આ પણ એક છે, જેની તપાસ એસઆઈટી એ કરી હતી. આ રમખાણોમાં નરોડા ગામમાં અલ્પસંખ્યક સમુદાય સાથે જોડાયેલા 11 લોકો મૃત્યુ પામ્યા હતા. આ મામલે કુલ 82 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. માયા કોડનાની, જેઓ તે સમયે રાજ્ય મંત્રી હતા, તેમને પહેલા દોષી ઠરાવવામાં આવ્યા હતા અને નરોડા પાટિયામાં થયેલ રમખાણોના મામલે 28 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી, જેમાં 97 લોકોનું મૃત્યુ થયું હતું.