અમદાવાદ વિસ્ફોટ કેસમાં ક્રાઇમબ્રાન્ચ માંગશે ભટકલની કસ્ટડી
અમદાવાદ, 29 ઓગસ્ટ : અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ભારત-નેપાળ સરહદેથી પકડાયેલા ઈન્ડિયન મુજાહિદ્દીન ત્રાસવાદી સંગઠનના સ્થાપક યાસીન ભટકલની કસ્ટડી માંગી શકે છે. આ માટે ક્રાઇમ બ્રાન્ચે કસ્ટડી લેવાની તૈયારી શરૂ કરી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં મુખ્ય આરોપી એવો યાસીન વિસ્ફોટોના 35 જેટલા કેસોમાં મોસ્ટ વૉન્ટેડ છે. ભટકલ પુણેની જર્મન બેકરી તેમજ હૈદરાબાદ અને મુંબઈમાંના બોમ્બ વિસ્ફોટોના કેસમાં પણ આરોપી છે.
અમદાવાદમાં વર્ષ 2008ની 26 જુલાઈની સાંજે રાયપુર, મણીનગર, ઈસનપુર, નરોડા, બાપુ નગર અને ડાયમંડ માર્કેટ જેવા વિસ્તારોમાં 60થી 70 મિનિટના અંતરે 18 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ વિસ્ફોટોમાં 57 લોકો માર્યા ગયા હતા અને 100થી વધારે લોકો ઘાયલ થયા હતા.
ત્રાસવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનનો સહ-સ્થાપક મનાતા યાસીન ભટકલનું ખરું નામ મોહમ્મદ એહમદ ઝરાર સિદ્દીબાપા છે. તે કર્ણાટકના ઉત્તર કન્નડા જિલ્લાનો વતની છે. આજે ભારત-નેપાળ સરહદ પરથી પકડાયો છે. તેની સાથે અસાદુલ્લા અખ્તર ઉર્ફે હડ્ડી નામના ઈન્ડિયન મુજાહિદ્દીનના એક અન્ય ત્રાસવાદીને પણ પકડી લેવામાં આવ્યો છે. તે આ ટેરર ગ્રુપની ભારતમાંની પ્રવૃત્તિઓના સંચાલનનો વડો છે.
આ બંનેને પકડવાનું સમગ્ર ઓપરેશન ઈન્ટેલિજન્સ બ્યૂરોએ હાથ ધર્યું હતું. તેણે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિન્ગ (રૉ) પાસેથી મેળવેલી માહિતીને આધારે બંને ત્રાસવાદીને પકડ્યા છે અને આ કામગીરીમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી સહિત કોઈ પણ પોલીસ દળનો સમાવેશ કરાયો નહોતો.
યાસીન અને અખ્તરને પકડી લીધા બાદ ગુપ્તચર બ્યૂરોએ બંનેની સોંપણી બિહાર પોલીસને કરી દીધી હતી, કારણ કે ભારતમાં કોઈની ધરપકડ કરવાની સત્તા ગુપ્તચર એજન્સીઓને નથી. બંને ત્રાસવાદીને બિહારના બેટીઆહમાં લઈ જવામાં આવ્યા છે. પકડાયેલો શખ્સ યાસીન ભટકલ છે કે કેમ તે માટે સુરક્ષા એજન્સીઓએ તેના પરિવારજનોના ડીએનએ એકત્ર કરવાનું નક્કી કર્યું છે. ત્યારબાદ તેમના અને પકડાયેલા શખ્સના ડીએનએનું મેચિંગ કરાશે.