ગુજરાત શરૂ કરશે મુંબઇ-પોરબંદર વચ્ચે ક્રૂઝલાઇનર સર્વિસ
હૈદરાબાદ, 15 જુલાઇઃ ગુજરાત એક પ્રવાસન રાજ્ય તરીકે માત્ર ભારત જ નહીં પરતું વિદેશમાં પણ જાણીતું બન્યું છે, ત્યારે ગુજરાત પાસે રહેલા સૌથી લાંબા દરિયા કિનારાને પણ એક પ્રવાસન સ્થળ તરીકે લોકપ્રિય બનાવવા તરફ ગુજરાત સરકાર દ્વારા એક પહેલા કરવામા આવી રહી છે. કોસ્ટલ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષાંતે મુંબઇ અને પોરબંદર વચ્ચે ક્રુઝલાઇનર શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, તેમ પ્રવાસન વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે.
યોજના અનુસાર એક ક્રુઝ શીપ રજુ કરવામાં આવશે, જેનું સંચાલન કોઇ ખાનગી ઓપરેટર દ્વારા કરવામાં આવશે, આ ત્રણ દિવસનું પેકેજ હશે અને તે મુંબઇથી પોરબંદર અને કચ્છને જોડશે, તેવું ગુજરાત પ્રવાસન અને નાગરીક ઉડ્ડયનના અગ્રસચિવ વિપુલ મિત્રા દ્વારા જણાવવામા આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, અમે આશા રાખીએ છીએ કે આવનારા શિયાળા સુધીમાં મુંબઇ અને પોરબંદર વચ્ચે આ ક્રુઝ શીપ કનેક્ટિવિટી શરૂ થઇ જશે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ ક્રૂઝલાઇનર સર્વિસ સાથે જોડાયેલી કેટલીક બાબતોને.
17 બીચને કરાયા પસંદ
તેમણે જણાવ્યું, 'ગુજરાત પાસે સૌથી લાંબો 1600 કિમીનો દરિયા કિનારો છે. કોસ્ટલાઇન સાથે અમે 17 બીચને પસંદ કર્યા છે, અમારું લક્ષ્ય આ વિસ્તારોને કોસ્ટલ ટૂરિઝમ તરીકે ડેવલોપ કરવાનું છે અને ગુજરાતને કોસ્ટલ ટૂરિઝમ મથક તરીકે પ્રસ્થાપિત કરવાનું છે.'
કોસ્ટલ ટૂરિઝમના વિકાસ માટે 120 કરોડ મંજૂર
મિત્રાએ ઉમેર્યું છે કે, આયોજન પંચના અધ્યક્ષ મોન્ટેક સિંહ આહુવાલિયાએ ગુજરાતમાં કોસ્ટલ ટૂરિઝમના વિકાસ માટે 120 કરોડ મંજૂર કર્યા છે. આ ફંડનો ઉપયોગ દરિયા કિનારે સુવિધાઓ અને સંબંધિત પ્રવૃતિઓ માટે કરવામાં આવશે.
ક્રૂઝ ટૂરિઝમને પ્રમોટ કરવાની નીતિ
ક્રૂઝ ટૂરિઝમને પ્રમોટ કરવાના ભાગરૂપે અમારી નીતિ ક્રૂઝ જહાજ રાખવા માટે પૂરતી જગ્યા આપવાની છે અને ક્રૂઝલાઇનર પાસેથી પોર્ટ ફી પણ નહીં વસુલવાની છે, તેમ મિત્રાએ ઉમેર્યું છે.
12 એરપોર્ટને અપગ્રેડ કરાશે
હૈદરાબાદ એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મિત્રાએ જણાવ્યું કે, ગુજરાત સરકારે નાઇટ ફ્લાઇંગ ઓપરેશન માટે 12 એરપોર્ટને અપગ્રેડિંગ કરવાની તથા ઇન્ટ્રાસ્ટેટ ફ્લાઇટ્સ ખાનગી ઓપરેટર્સ દ્વારા શરૂ કરવા માટે ક્ષમતાદાયક બનાવવાની શરૂઆત કરી છે.
એટીએફ પરનો સેલ્સ ટેક્સમાં કરાશે ઘટાડો
આ ઉપરાંત એવિએશન ટર્બાઇન ફ્યુએલ(એટીએફ) પરના સેલ્સ ટેક્સમાં 3થી 28 ટકા સુધીનો ઘટાડો કરીને ઇન્ટ્રાસ્ટેટ ફ્લાઇટ્સ શરૂ કરવા માટે ખાનગી સેક્ટરને પ્રોત્સાહિત કરવામાં આવશે.
2012-13માં 2 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત
2012 અને 2013 દરમિયાન ગુજરાતની મુલાકાત 2.75 કરોડ પ્રવાસીઓ દ્વારા લેવામાં આવી છે અને રાજ્ય માર્ચ 2014 સુધીમાં આ આંકડો 3.75 કરોડ સુધી પહોંચી જશે તેવી આશા રાખી રહ્યું છે. તેમજ પ્રવાસીઓ માટે ચોપર સર્વિસ શરૂ કરવા અંગેનું પણ રાજ્ય વિચારી રહ્યું છે.
હાઇપ્રોફાઇલ પ્રવાસીઓ આકર્ષાય તેવી ઇચ્છા
સામાન્ય પ્રવાસીઓ ઉપરાંત હાઇપ્રોફાઇલ પ્રવાસીઓ ગુજરાત તરફ આકર્ષાય તેવી ઇચ્છા છે, બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવેલા પ્રમોશન બાદ કચ્છના રણની મુલાકાતે આવનારા પ્રવાસીઓની સંખ્યામાં 400 ટકાનો વધારો થયો હોવાનું મિત્રાએ જણાવ્યું છે.