કરફ્યુ મુક્ત વાતાવરણથી રાજ્યનો અભૂતપૂર્વ વિકાસ થયો: મહેસૂલ મંત્રી
રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બળિયાદેવ તીર્થ તરીકે ખ્યાતનામ પોર ગામ થી વંદે ગુજરાત વિકાસ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતુ.
રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બળિયાદેવ તીર્થ તરીકે ખ્યાતનામ પોર ગામ થી વંદે ગુજરાત વિકાસ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતુ. વિકાસ રથનું પૂજન કરવાની સાથે લોકોને આ રથના માધ્યમ થી યોજનાઓની જાણકારી મેળવી તેનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો.
મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતુ કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતને કરફ્યુમુક્ત બનાવ્યું છે, જેના પગલે રાજ્યનો અભૂતપૂર્વ વિકાસ થયો. ગુજરાતે સર્વાંગી અને મોડેલ રૂપ વિકાસ સાધ્યો છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ વિકાસ યાત્રા વેગવાન બની છે. સમાજના તમામ વર્ગોને વિકાસનો લાભ આપણા રાજ્યમાં મળી રહ્યો છે. બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા અને આવકાર આપવા રાજ્યના મુખ્યમંત્રી જાતે શાળામાં જાય એવું માત્ર ગુજરાતમાં બને છે. લોકોને બાળકોને શક્ય તેટલું ઉચ્ચ શિક્ષણ આપવા અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીન અને પર્યાવરણનું રક્ષણ કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ વિકાસ રથ જિલ્લા પંચાયતની બેઠકો ના વિસ્તારોમાં જિલ્લાના કુલ ૬૮ ગામો અને ચાર નગરપાલિકા વિસ્તારોમાં ફરીને લોકોને યશસ્વી અને અભૂતપૂર્વ વિકાસના બે દાયકા દરમિયાન આરોગ્ય,શિક્ષણ,પાણી પુરવઠા,મહિલા સશક્તિકરણ,માર્ગ નિર્માણ,યાત્રાધામ વિકાસ,પીવાના પાણીની સિંચાઇની વ્યવસ્થાઓ,મહિલા અને બાળ કલ્યાણ,આદિજાતિ અને અનુસૂચિત જાતિ કલ્યાણ સહિત સર્વ ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ની સચોટ ઝાંખી કરાવશે. વિકાસ રથની સાથે અંદાજે ૭ કરોડ થી વધુ રકમના સ્થાનિક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. આમ,વિકાસ રથના આગમન થી સ્થાનિક વિસ્તારોને નવો વેગ મળશે.
કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની લાભાર્થી બહેનોને તુવેર દાળ,ચણા અને ખાદ્ય તેલની પોષણ કીટ,દીકરી યોજનાઓના લાભાર્થીઓ ને રાષ્ટ્રીય બચત યોજનાના બચતપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોર અને આસપાસના ગામોને લાભ આપનારા અંદાજે રૂ.૨૫ લાખથી વધુ રકમના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા હતા.