લ્યો બોલો. ગુજરાત સરકારને કોણ કરી રહ્યું છે અસ્થિર? તપાસ કરશે સાયબર ક્રાઇમ
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામાંની અફવા સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં વહેતી થઇ રહી છે
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામાંની અફવા સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં વહેતી થઇ રહી છે. ક્યારેક નીતિન પટેલના રાજીનામાંની વાત હોય તો ક્યારેક વિજય રૂપાણીના રાજીનામાંની વાત હોય. ત્યારે, સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમો થકી સરકાર અસ્થિર કરવાના પ્રયાસ અંગેની તપાસ સાયબર ક્રાઇમને સોપવામાં આવી છે.
ગૃહપ્રધાને સાયબર ક્રાઇમને સોંપી તપાસ
ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે. જેમાં, રાજ્યની ભાજપ સરકારને અસ્થિર કરવાનો કોણ પ્રયાસ કરી રહ્યું છે, આ મામલે કયા કયા મુદ્દાની તપાસ આવરી લેવામાં આવશે અને કોના પર આ સમગ્ર ઘટનાનું ઠીકરું ફોડાશે. તેમજ કોને આ સમગ્ર ઘટનામાં બલીનો બકરો બનાવાશે તે જોવું રહેશે. ખરેખર, ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળીને રોકવાને બદલે હવે દોષનો ટોપલો સોશ્યલ મીડીયા અને કોંગ્રેસ ઉપર ફોડવામાં આવી રહ્યો છે. અમદાવાદના પોલીસના સાયબર એકસપર્ટ હવે પહેલા આરોપી નક્કી કરશે, ત્યાર બાદ સંભવીત આરોપી સામે કાર્યવાહી કરવાના પુરાવા એકત્ર કરી સમગ્ર મુંદ્દાને બેધ્યાન કરે તો પણ નવાઇ નહી.
સરકાર અસ્થિર કરવાનું કાવતરુ કોનું ?
રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વચ્ચેના સંબંધોમાં કડવાશ જગજાહેર છે. તે જગ જાહેર બાબત હોવા છતાં સરકાર પર આ મામલે કોઈ ટીપ્પણી અને નિવેદન કરે તે પણ હવે ભાજપને હરગીજ મંજુર નથી. નીતિન પટેલને પ્રધાનમંડળમાંથી પડતા મુકવા, તેમજ વિજય રૂપાણીના રાજીનામા અંગે ભાજપના સુત્રોમાંથી ગણગણાટ શરૂ થયો હતો, પણ આ મામલો જ્યારે સોશ્યલ મીડિયામાં ચમકયો તેની સાથે ભાજપે સરકારને અસ્થીર કરવાનું કાવત્રુ છે તેવી બુમાબુમ કરી મુકી છે. રાજકારણમાં નવા આવેલા વોર્ડ કક્ષાના કાર્યકરને પણ ખબર પડે કે વિજય રૂપાણી રાજીનામુ આપે અથવા નીતિન પટેલને પડતા મુકાય તેવા સમાચાર સોશ્યલ મીડિયામાં વાયરલ થવાથી કઈ રીતે ભાજપ સરકાર અસ્થિર થાય?
સોશિયલ મીડિયાથી સરકાર અસ્થિર થાય ?
ખરેખર સરકાર એટલી હદે અસ્થિર થઇ ગઇ હશે કે ભાજપમાં યાદવાસ્થળી એટલી હદે ચરમસીમા પર હશે કે જેથી સોશિયલ મીડિયા કે સમાચાર માધ્યમોના સમાચારથી પણ સરકાર અસ્થિર થઇ જાય ? કે, જે ભાજપ સોશિયલ મીડિયાના સહારે લોક લાગણી કેળવી રહી છે તેને જ સોશિયલ મીડિયાનો ડર લાગી રહ્યો છે. આ સવાલ લોકોમાં ગુંજી રહ્યો છે. અનેક ભયંકર ગુનાઓ અને રોજબરોજના અત્યાચારો અને ભ્રષ્ટાચારની તપાસ કરાવવામાં આળસું સરકાર આ સામાન્ય બાબતને સાયબર ક્રાઇમને તપાસ સોંપીને પોતાનો આંતરિક વિખવાદ દબાવી દેવા માંગે છે કે કેમ તે પણ લોકોમાં સવાલો થઇ રહ્યા છે.
ભાજપે જ કર્યો સોશિયલ મીડિયાનો ઉપયોગ
2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે સોશ્યલ મીડિયાનો ભરપુર ઉપયોગ કર્યો ત્યારે કોંગ્રેસની કેન્દ્ર સરકાર અસ્થિર કરવાનો આરોપ ભાજપ ઉપર લાગ્યો ન્હોતો, પણ હવે 2017માં વિકાસ ગાંડો થયો અને 2018માં વિજય રૂપાણી રાજીનામુ આપે છે તેવા સમાચાર સોશ્યલ મીડિયામાં ચાલ્યા તો ભાજપને કાવત્રાની ગંધ આવે છે. જ્યાં સુધી નીતિન પટેલ ભાજપ સાથે છેડો ફાડી રહ્યા છે તેવી વહેલી થયેલી મુદ્દે પણ ભાજપ ખોંખારીને બોલી શકે તેમ નથી, કારણ 1995માં આ જ શિસ્તબધ્ધ ભાજપમાંની આબરૂનું લીલામ પ્રજાએ જોયું છે. 2017ની ચૂંટણી જીત્યા પછી ખાતાની ફાળવણીમાં પણ નીતિન પટેલને નારાજ થતાં ગામ આખા જોયા છે. નીતિન પટેલ રીસાઈ ગયા તે કઈ સોશ્યલ મીડિયાના કહેવાથી કે કોંગ્રેસની ચઢવણીથી રીસાાયા ન્હોતા.
તપાસના નામે મામલો થાળે પડી શકશે ?
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રાજીનામું આપી રહ્યા હોવાના સમાચાર વહેતા થયા ત્યારે, કોઇ તપાસ સોંપાઇ નહી અને વિજય રૂપાણીના રાજીનામાંના સમાચાર વહેતા થતાં જ સાઇબર ક્રાઇમને તપાસ સોંપવામાં આવી તે, ભાજપમાં કંઇક બરાબર ન હોવાના સંકેત લાગી રહ્યા છે. ત્યારે, આવનારા દિવસોમાં ભાજપ સરકાર આ તપાસને ક્યાં પહોંચાડે છે અને તપાસના નામે મામલો થાળે પાડે છે કે કેમ તે જોવું રહ્યું.