Gujarat Election: ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠકના રાજકીય અને જાતિવાદી સમિકરણ
ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠકના રાજકીય અને જાતિવાદી સમિકરણ
Gujarat Election: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠકના રાજકીય અને જાતિવાદી સમિકરણની ચર્ચા કરીએ તો, આ બેઠક ગાંધીનગર જિલ્લાની એક બેઠક છે. ગાંધીનગરમાં 4 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જે પૈકીની એક બેઠક એટલે દહેગામ વિધાનસભા બેઠક.
દહેગામ વિધાનસભા બેઠકમાં દહેગામ તાલુકાના 54 ગામોનો સમાવેશ થાય છે. જેમાં, કૂલ મતદારોની સંખ્યા 2.21 લાખ નોંધાયેલી છે. જેમાં, 1.12 લાખ જેટલા પુરૂષ મતદારો અને 1.09 લાખ સ્ત્રી મતદારો નોંધાયેલા છે. જ્યારે, દહેગામ મતવિસ્તારમાં કૂલ 255 મતદાન મથકો આવેલા છે. ગાંધીનગર જિલ્લાની દહેગામ તાલુકાની આ વિધાનસભા બેઠકના જ્ઞાતિવાદી સમિકરણની ચર્ચા કરવામાં આવે તો, આ બેઠકમાં ખાસ કરીને ઠાકોર મતદારોનું પ્રભુત્વ રહેલું છે. આ ઉપરાંત ક્ષત્રિય મતદારો પણ વર્ચસ્વની દ્રષ્ટીએ મહત્વપુર્ણ માનવામાં આવે છે.
ગાંધીનગર જિલ્લાની આ દહેગામ બેઠક સામાન્યતઃ કોંગ્રેસ તરફી માનવામાં આવે છે. પરંતું, 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના સિટીંગ ધારાસભ્ય કામીનીબા રાઠોડ઼ની હાર થઇ હતી અને ભાજપના બલરાજસિંહ ચૌહાણ વિજેતા થયા હતા. જ્યારે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વર્તમાન ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણને રિપિટ કર્યા છે. તો, કોંગ્રેસે વખતસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે, આમ આદમી પાર્ટીમાંથી સુહાગ પંચાલ મેદાનમાં છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામીનીબા રાઠોડને ટિકિટ ન મળતાં નારાજ થઇ કોંગ્રેસ સામે બળવો કરીને ભાજપમાં સામેલ થઇ ગયા છે. કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં સામેલ થતાં કોંગ્રેસની મુશ્કેલી વધી ગઇ છે. ત્યારે, આવનારા સમયમાં હવે આ બેઠક ભાજપ જાળવી રાખે છેકે, કોંગ્રેસના ફાળે જાય છે, આમ આદમી પાર્ટી કબ્જો જમાવે છે તે ચૂંટણી પરિણામથી જાણી શકાશે.